રવિ સિઝનમાં સિંચાઇ માટે પાણી મેળવવા અરજી કરવાની તારીખ લંબાવાઇ
દાંતીવાડા જળાશય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ની રવિ સિઝનમાં સિંચાઇ હેતુથી પાણી મેળવવા ઇચ્છતા બાગાયતદાર-ખેડૂતો માટે અરજી કરવાની તા.૧૩ જાન્યુઆરી-૨૦૨૩ સુધી લંબાવવામાં આવી છે, જેનો મહત્તમ લાભ લેવા કાર્યપાલક ઇજનેર, ડીસા સિંચાઇ વિભાગની યાદીમાં જણાવાયું છે.
રવિ સિઝન માટે જળાશયમાંથી ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે પાંચ પાણ સાથે ૨૦,૦૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરેલું હોઇ, પાણી લેવાની ઇચ્છા ધરાવતા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને પાણી મેળવવા માટે નિયત નમૂના ફોર્મ નંબર-૭ માં જરૂરી વિગતો દર્શાવી રૂબરૂમાં અરજી કરવાની રહેશે.
આ અરજી સાથે ખાતાની બાકી અને પંચાયતની બાકી રકમ તથા ચાલુ સિઝનનો આગોતર સિંચાઇ પિયાવો પૂરેપૂરો ભરવાનો રહેશે. આ સિવાયની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. ચાલુ વર્ષે પ્રતિ પાણ દીઠ રૂા.૩૨૪ તથા ૨૦ ટકા લોકલ ફંડ રૂા.૬૪.૮૦ કુલ મળી રૂા.૩૮૮.૮૦ પ્રતિ હેક્ટર દીઠ ભરવાના રહેશે. અરજી જમા કરાવ્યા બાદ પાણીનો પાસ મેળવી લેવાનો રહેશે, પાસ વિના પાણી આપવામાં આવશે નહીં તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.