Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દૂધ ઉત્પાદન વધારવા શરૂ કરાયો અનોખો પ્રોજેક્ટ

પ્રતિકાત્મક

રાજકોટ, સામાન્ય રીતે જે મહિલાને કુદરતી રીતે ગર્ભ નથી રહેતો તે સંતાન સુખ મેળવવા માટે ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન અને સરોગસીનો સહારો લે છે. પરંતુ ગુજરાતમાં એક દૂધ મંડળીએ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

રાજ્યમાં દૂધ ઉત્પાદન વધારવા માટે સરોગેટ ગાયનો ઉપયોગ કરવામાં આવશે. અમરેલી સ્થિત અમર ડેરીએ પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેના દ્વારા સારી ગુણવત્તાના બળદનું સીમન અને ગાયના ઓસાઈટનો ઉપયોગ કરીને લેબમાં ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે.

બાદમાં આ ગર્ભને ગીર સિવાયની સ્વસ્થ ગાયમાં ટ્રાન્સફર કરવામાં આવશે જેથી તંદુરસ્ત ગીર ગાયોનો નવો વંશ પેદા થાય અને ભવિષ્યમાં વધુ દૂધ ઉત્પાદિત કરી શકાય. ગીર ગાય દોઢ વર્ષમાં વાછરડાને પેદા કરી શકે છે. અન્ય ગાયોની સરખામણીમાં ગીરની ગાય વધારે દૂધ આપી શકે છે. તંદુરસ્ત ગીર ગાય પ્રતિ દિવસ ૨૦-૩૦ લિટર દૂધ આપી શકે છે જ્યારે સામાન્ય ગાય ૩-૫ લિટર દૂધ એક દિવસમાં આપે છે.

“અમે કેટલાય વર્ષોથી આર્ટિફિશિયલ ઈન્સેમિનેશન પર કામ કરી રહ્યા છીએ પરંતુ સફળતાનો દર નીચો છે. એટલે જ અમે સરોગેટ ગાયનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

આ કોન્સેપ્ટ ટેસ્ટ ટ્યૂબ બેબી જેવો જ છે. લેબમાં ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે અને તેને આઠ દિવસ સુધી ઈન્ક્યુબેટરમાં રાખવામાં આવે છે અને ત્યારપછી પસંદગી કરાયેલી ગાયમાં ટ્રાન્સફર કરવામાં આવે છે”, તેમ અમર ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર આર.એસ. પટેલે જણાવ્યું. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સંચાલિત ગૌશાળામાંથી દૂધ મંડળીઓએ ગીરના બળદનું વીર્ય લીધું છે.

અમરેલી તેમજ પોરબંદરમાં વર્ષોથી ગીર ગાયોનું સંવર્ધન કરતાં પશુપાલકો પાસેથી તંદુરસ્ત ગીર ગાયોના એગ્સ લેવામાં આવ્યા છે. સામાન્ય રીતે એક મહિનામાં ગાયના શરીરમાં ૧૨-૧૫ અંડકોષ પેદા થાય છે. પરંતુ જાે આ જ ગાય કુદરતી રીતે ગર્ભવતી થાય તો આખા વર્ષ દરમિયાન માત્ર એક અંડકોષનો ઉપયોગ થઈ શકે છે અને ૧૨-૧૫ મહિનાના સમયમાં ફક્ત એક વાછરડું જન્મી શકે છે. “પરંતુ આ પદ્ધતિથી વધુ દૂધ આપતી ગાયોના અંડકોષ લઈને એક વર્ષમાં જ ૨૦-૨૫ વાછરડાને પેદા કરી શકાય છે.

આ વાછરડીઓ મોટી થઈને વધુ દૂધ આપતી ગાયો બનશે”, તેમ તેમણે ઉમેર્યું. ભ્રૂણ તૈયાર કરવા માટેની ટેક્નોલોજી માટે મેડિકલના જરૂરી સાધનો વસાવવા અમર ડેરીએ ૯૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પશુચિકિત્સકોની પેનલમાં ૩ ડૉક્ટરો છે જ્યારે ડેરીના પશુચિકિત્સકોના નેટવર્ક સિવાયના બે નિષ્ણાત ડૉક્ટરોની પણ સલાહ લેવાઈ રહી છે.

“આ પશુચિકિત્સકો તંદુરસ્ત ગાયો શોધવા માટે ખેડૂતોના ઘરે ઘરે જાય છે અને પછી તેમનામાં આ ભ્રૂણ ટ્રાન્સફર કરે છે”, તેમ અધિકારીએ જણાવ્યું. આ પ્રોજેક્ટનો બધો જ ખર્ચ દૂધ મંડળી, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને કેંદ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. પહેલા પ્રયત્નમાં અમે ૫૪ એગ્સ કાઢ્યા હતા. જેમાંથી અમે ૧૫ ભ્રૂણ તૈયાર કરી શક્યા અને ગત અઠવાડિયે જ તેને ગાયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એક મહિના પછી અમને તેની સફળતાનો દર ખબર પડશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers