Western Times News

Gujarati News

સમગ્ર વિશ્વમાં ૪૬% પ્લાસ્ટિક કચરો જમીનમાં દટાયેલો છે જેમાંથી ૨૨% નિકાલપાત્ર નથી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ “મિશન લાઇફ”નું લક્ષ્ય: વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૮ સુધી  ઓછામાં ઓછા ૧ અબજ ભારતીયો અને અન્ય વૈશ્વિક નાગરિકોને પર્યાવરણીય સંરક્ષણ માટે પ્રેરિત કરાશે

વિશ્વ કક્ષાની વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પશ્ચિમ આફ્રિકાના કોટ ડી’આવિયર (Côted’Ivoire) ખાતે કરવામાં આવશે: જેની થીમ #BeatPlasticPollution (પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો)

પ્લાસ્ટિકના કચરાથી થતા પ્રદૂષણને રોકવા માટે કેન્દ્ર સરકારે બે સ્તંભોની અપનાવી વ્યૂહરચના

સમગ્ર વિશ્વમાં ૫મી જૂન વિશ્વ પ્રતિવર્ષ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. ઈસવીસન 1972માં સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

આ વર્ષે 5 જૂન 2023 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની 50 મી વર્ષગાંઠ ઉજવાશે. આ વર્ષે વિશ્વ કક્ષાની વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની યજમાની નેધરલેન્ડસની ભાગીદારીમાં પશ્ચિમ આફ્રિકામાં આવેલો કોટ ડી’આવિયર (Côted’Ivoire) દેશ કરી રહ્યો છે. પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે સંયુકત રાષ્ટ્રસંઘ યુ.એન. દ્વારા #BeatPlasticPollution (પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો) થીમ હેઠળ સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક પ્રદૂષણના નિકાલ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

વર્ષ ૨૦૨૧માં યુ.એન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં (UNFCCC  COP26), લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વૈશ્વિક ક્લાઈમેટ એક્શન નેરેટિવમાં “મિશન લાઈફ”ની (Mission Life) જાહેરાત કરી હતી. મિશન લાઇફનું લક્ષ્ય વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૮ સુધી

ઓછામાં ઓછા ૧ અબજ ભારતીયો અને અન્ય વૈશ્વિક નાગરિકોને પર્યાવરણીય સંરક્ષણ માટે પ્રેરિત કરવાનું છે. આ મિશન હેઠળ ઉર્જા બચત, પાણીની બચત, સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, ટકાઉ ખાદ્ય પ્રણાલી, કચરો ઘટાડવો, સ્વસ્થ જીવનશૈલી અપનાવવી અને ઈ-કચરાનું સંચાલન એમ સાત શ્રેણીઓને આવરી લેવામાં આવી છે.

આજે પ્લાસ્ટિક રોજીંદા જીવનનો એક ભાગ બની ગયું છે અને તેનો વપરાશ નિયમિતપણે થઇ રહ્યો છે. આપણે તેનો વપરાશ જાણીએ છીએ પણ તેનો નાશ કેવી રીતે કરવો તે અંગે જાગૃતિ નથી.

એકંદરે, સમગ્ર વિશ્વમાં  ૪૬ ટકા પ્લાસ્ટિક કચરો જમીનમાં ભરાયેલો છે જેમાંથી ૨૨ ટકા નિકાલપાત્ર નથી જે દરિયાઈ વન્યજીવોને ગૂંગળાવાની સાથે સાથે જમીનને નુકસાન પણ પહોંચાડે છે. જમીનમાં ઓગળેલુ પ્લાસ્ટિક ભૂગર્ભજળને ઝેરી બનાવીને, આરોગ્યને ગંભીર અસર કરે છે અને બીજી અનેક રીતે પર્યાવરણને હાની પહોંચાડે છે.

પ્લાસ્ટિકના કચરાથી થતા પ્રદૂષણને રોકવા માટે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રિય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે (MoEFCC) બે સ્તંભોની ખાસ વ્યૂહરચના અપનાવી છે. જેમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ અને તેનું કડક અમલીકરણ

તેમજ પ્લાસ્ટિક પેકેજિંગ કચરાનું રિસાયક્લિંગ, પુનઃઉપયોગ અને સમગ્ર પ્રક્રિયા સુનિશ્ચિત કરવાની જવાબદારી ઉત્પાદકો, આયાતકારો અને બ્રાન્ડ-માલિકોની રહેશે. આ સ્તંભો થકી કેન્દ્ર સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગના નિયંત્રણ માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ શહેરો, નગરો અને મહાનગરોમાં જળ પ્રદૂષણ, વાયુ અને વાહનોનું પ્રદૂષણ, ઔદ્યોગિક ક્ષણ, અયોગ્ય કચરાના નિકાલ વગેરેને લગતી સમસ્યાઓના ઉકેલ માટે શ્રેણીબદ્ધ પગલાં લીધાં છે. જેમાં રાષ્ટ્રીય એમ્બિયન્ટ એર ગુણવત્તા ધોરણો અંગે નોટીફીકેશન,

પર્યાવરણીય નિયમો, કાનુનોની રચના, આસપાસની હવાની ગુણવત્તાના મૂલ્યાંકન માટે મોનિટરિંગ નેટવર્કની સ્થાપના, ક્લીનર, વૈકલ્પિક ઇંધણ જેવા કે વાયુયુક્ત ઇંધણ (CNG, LPG વગેરે), ઇથેનોલ મિશ્રણ વગેરેનો વપરાશ, સ્વચ્છ ઉત્પાદન પ્રક્રિયાઓના પ્રોત્સાહનથી ક્લીન અને ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગનો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાત સરકારે અંદાજપત્રમાં પાંચમાં સ્તંભ તરીકે ગ્રીન ગ્રોથને સ્થાન આપ્યું છે. જેમાં વન અને પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે વિભાગને રૂ. ૨૦૬૩ કરોડની જોગવાઈ અને કલાઇમેટ ચેન્જ વિભાગનમાં રૂ. ૯૩૭ કરોડની જોગવાઈ કરી છે.

જે અંતર્ગત વનોના વિકાસ સંવર્ધન અને સંરક્ષણની કામગીરી માટેની જોગવાઈ, વનવિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણ, વન્ય પ્રાણી વ્યવસ્થાને વિકાસ હાથ ધરશે, વળતર વનીકરણ તથા અન્ય વન વિકાસની કામગીરીઓ,

હરિત વસુંધરા પ્રોજેક્ટ પાવન વૃક્ષ વાટિકા અને વૃક્ષોનું આવરણ વધારવાની વિવિધ યોજનાઓ, “મિશન લાઇફ” અંતર્ગત પર્યાવરણ ક્ષેત્રમાં તાલીમ અને માનવ સંસાધન વિકાસ હાથ ધરવા તેમજ જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે. જે સૂચવે છે કે વિકાસમાં હરણફાળ ભરતું ગુજરાત, પર્યાવરણની જાળવણી માટે સઘન કામગીરી કરી રહ્યું છે.- ધ્રુવી ત્રિવેદી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.