Western Times News

Gujarati News

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નીતા અંબાણી ‘ધ મેટ’માં રજૂ કરશે 600 વર્ષનો ભારતીય ઇતિહાસ

‘ટ્રી એન્ડ સર્પન્ટઃ ભારતમાં પ્રારંભિક બુદ્ધિસ્ટ કળા, ઈ.સ. પૂર્વે 200થી ઇ.સ.400’ 21 જુલાઈથી શરૂ થશે

ન્યૂ યોર્ક : ‘ટ્રી એન્ડ સર્પન્ટઃ ધ અર્લી બુદ્ધિસ્ટ આર્ટ ઇન ઇન્ડિયા, ઇ.સ.પૂર્વે 200 – ઇ.સ. 400’ ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ (ધ મેટ) ખાતે 21 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. બૌદ્ધ કળાની ઉત્પત્તિને આલેખતા આ અદભૂત પ્રદર્શનનું આયોજન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને ભારતીય પરોપકારી સંસ્થાન રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીના પ્રયાસો થકી શક્ય બન્યું છે.

લાંબા સમયથી મ્યુઝિયમના પ્રખર સમર્થક શ્રીમતી નીતા અંબાણીને 2019માં ધ મેટના માનદ્ ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ મ્યુઝિયમના ટ્રસ્ટી મંડળમાં પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા હતા. આ ભૂમિકામાં તેમણે વૈશ્વિક પ્રેક્ષકોને શ્રેષ્ઠ ભારતીય કળાનો પરિચય કરાવવા માટે નિરંતર પ્રયાસો જારી રાખ્યા છે.

આ પ્રસંગે શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “હું બુદ્ધની ભૂમિ ભારતમાંથી આવું છું અને ધ મેટ સાથે રિલાયન્સ ફાઉન્ડેશનની સહભાગિતા થકી ‘ટ્રી એન્ડ સર્પન્ટ’ને સપોર્ટ કરવો એ મારા માટે ખૂબ જ મોટું સન્માન છે. આ ઐતિહાસિક પ્રદર્શન પ્રાચીન ભારતની 125થી વધુ નમૂનાઓ સાથે ઇ.સ.પૂર્વે બીજી સદીથી ઇ.સ.ની ચોથી સદી સુધીના પ્રારંભિક બૌદ્ધ કળાના મૂળ સુધી પહોંચે છે.

‘ટ્રી અને સર્પન્ટ’ સાથે અમે બૌદ્ધ ધર્મ અને ભારત વચ્ચેના ઊંડા મૂળના જોડાણને દર્શાવવામાં ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. બુદ્ધના ઉપદેશો ભારતીય નૈતિકતા સાથે જોડાયેલા છે અને વૈશ્વિક વિચારને આકાર આપતા રહે છે. હું આશા રાખું છું કે વિશ્વભરમાંથી લોકો આવશે અને આ પ્રકારના અલાયદા અનુભવનો આનંદ માણશે. અમે ભારતનું શ્રેષ્ઠ વિશ્વ માટે અને વિશ્વનું શ્રેષ્ઠ ભારતમાં લાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

ધ મેટના મરિના કેલન ફ્રેન્ચ ડિરેક્ટર મેક્સ હોલીન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા ટ્રી એન્ડ સર્પન્ટના સ્પેશિયલ પ્રીવ્યૂમાં શ્રીમતી નીતા અંબાણીએ હાજરી આપી હતી, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય રાજદૂત તરનજિત સિંઘ સંધુ, ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટી, દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાના મેટ્સ ફ્લોરેન્સ અને હર્બર્ટ ઇરવિંગ ક્યુરેટર અને ટ્રી એન્ડ સર્પન્ટના ક્યુરેટર જોન ગાય સહિત કળા જગતની અને અન્ય ક્ષેત્રોની સંખ્યાબંધ પ્રતિષ્ઠિત હસ્તીઓએ હાજરી આપી હતી.

ટ્રી એન્ડ સર્પન્ટ એક અનોખી રીતે ક્યુરેટેડ પ્રદર્શન છે, જેમાં ઇ.સ.પૂર્વે 200 થી ઇ.સ.400ના સમયગાળાની 125થી વધુ કૃતિઓને રજૂ કરવામાં આવી છે. આ શો પ્રાચીન ભારતના મૂળ અવશેષો અને અવશેષોની આસપાસ પરસ્પર તાંતણે ગુંથાયેલી શ્રેણીબદ્ધ થિમ્સની આસપાસ રચાયેલો છે,

જેમાં બુદ્ધના ઉપદેશથી ભારતની ધાર્મિક વિચારસરણીમાં આવેલા પરિવર્તનન જોવા મળે છે. બુદ્ધના સંદેશને લોકો સુધી પહોંચાડવા માટેની ઉત્કૃષ્ટ કળામાં સ્તૂપને સુશોભિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સ્તૂપમાં માત્ર બુદ્ધના અવશેષો જ નહોતા પરંતુ તેમાં પ્રતીકાત્મક રજૂઆતો અને દૃશ્ય વાર્તા રજૂ કરવામાં આવી છે,  જેના સુંદર નમુનાઓને પ્રદર્શનમાં જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય છે અને તેનો અનુભવ બુદ્ધની પોતાની છબી સાથે પરાકાષ્ઠાએ પહોંચે છે.

મોટા ભાગે સમગ્ર ભારતમાંથી દાતાઓ દ્વારા તેમજ યુનાઇટેડ કિંગડમ, યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી આપવામાં આવેલી કૃતિઓ સાથે ટ્રી એન્ડ સર્પન્ટ ભારતમાં અલંકારિક શિલ્પના પૂર્વ-બૌદ્ધ મૂળ અને આ રચનાત્મક ક્ષણ માટે કેન્દ્રિય હતી તેવી પ્રારંભિક ભારતીય કથા પરંપરાઓ બંનેને દર્શાવે છે.

તેની વિભાવના અને ક્યુરેશનની બારિકીમાં ઉત્કૃષ્ટ આ દુર્લભ પ્રદર્શન મુલાકાતીઓને પ્રારંભિક બૌદ્ધ છબીઓની દુનિયામાં લઈ જાય છે, જેમ કે શીર્ષક ‘વૃક્ષ’ અને ‘સાપ’, બૌદ્ધ કળાના બે મુખ્ય મોટિફ – પવિત્ર બોધિ વૃક્ષ અને રક્ષણાત્મક સાપના નામ પરથી તેનું નામ આપવામાં આવ્યું છે. તે ઉજાગર કરે છે કે કેવી રીતે બૌદ્ધ ધર્મના વિચારો નૈતિક ઉપદેશોના મુખ્ય સમૂહમાંથી વિશ્વના મહાન ધર્મમાં વિકાસ પામ્યા.

યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રસિદ્ધ કળાકાર નસરીન મહોમ્મદીના અમેરિકામાં પ્રથમ મ્યુઝિયમ પ્રદર્શન અને ધ મેટ બ્રુઅરના ઉદ્દઘાટક પ્રદર્શનોથી રિલાયન્સે વર્ષ 2016થી ધ મેટને સમર્થન આપ્યું છે. રિલાયન્સ દ્વારા સમર્થિત અન્ય નોંધપાત્ર પ્રદર્શનોમાં મોર્ડનીઝમ ઓફ ગંગા: રઘુબીર સિંહના ફોટોગ્રાફ્સ (ઓક્ટોબર 11, 2017-જાન્યુઆરી 2, 2018) અને ફેનોમેનલ નેચર: મૃણાલિની મુખર્જી (4 જૂન-29 સપ્ટેમ્બર 2019)નો સમાવેશ થાય છે, જેમાં મુખરજીની કળાની અમેરિકામાં પહેલી પ્રસ્તૃતિ કરવામાં આવી હતી.

શ્રીમતી અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે ધ એલિફન્ટા ફેસ્ટિવલ, એન્ડ અબ્બાજી, પ્રસિદ્ધ સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈનનો વાર્ષિક કોન્સર્ટનુ આયોજન કર્યું હતું, તેના થકી ભારતના સાંસ્કૃતિક દિગ્ગજોને વિશ્વ મંચ પર રજૂ કરવા અને યુવા પેઢી સાથે તેમની સુસંગતતા સુનિશ્ચિત કરવાના અનેક પ્રયાસોનો તેમાં સમાવેશ થાય છે.

રિલાયન્સ ફાઉન્ડેશન ભારતની કળા અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને જાળવવા તેમજ પરંપરાગત કારીગરો અને કારીગરોની આજીવિકા માટેના માર્ગો વિકસિત કરવા માટે પણ કામ કરી રહ્યું છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે રિલાયન્સ ફાઉન્ડેશને કળા અને હસ્તકળા પ્રદર્શન સ્વદેશને સમર્થન આપ્યું છે જેણે પરંપરાગત ભારતીય કારીગરોને પ્રદર્શિત કરવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.

ભારતીય કળા તરફ વૈશ્વિક પ્રેક્ષકોને લાવવા અને દરેકને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો અનુભવ કરાવવાની સતત પ્રતિબદ્ધતાના ભાગરૂપે રિલાયન્સે માત્ર ધ મેટ ખાતે પ્રદર્શનોની શ્રેણીને જ નહીં પરંતુ શિકાગો સ્થિત આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ગેટ્સ ઓફ ધ લોર્ડ: ધ ટ્રેડિશન ઓફ ક્રિષ્ના પેઇન્ટિંગ્સ જેવી પ્રસ્તુતિઓને પણ સમર્થન આપ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.