Western Times News

Gujarati News

‘કન્ઝકટીવાઇટીસ વાઈરસ’ના સંક્રમણથી દ્રષ્ટિને નુકસાન થતું નથી પણ ચેપ લાગે નહીં તે માટે સાવચેતી જરૂરી

સામાન્ય રીતે પાંચ દિવસમાં મટી જતા આંખોમાં જોવા મળતું કન્ઝકટીવાઇટીસનું સંક્રમણ એડીનો વાયરસ-એન્ટ્રો વાઇરસ દ્વારા ફેલાતોનો હોવાનું નિષ્ણાતોનો અભિપ્રાય

Ø  રાજ્યમાં હાલ દૈનિક ૨૫ થી ૩૦ હજાર કન્ઝકટીવાઇટીસના કેસ જોવા મળે છે

Ø  આંખમાં લાલાશ-દુખાવો થાય તો નજીકના આંખના તબીબ પાસે જ સારવાર લેવી

રાજ્યના નાગરિકોમાં હાલ આંખ આવવાનો રોગ એટલે કે વાયરલ કન્ઝકટીવાઇટીસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. વાઇરલના કારણે સંક્રમિત દર્દીને સામાન્ય રીતે પાંચ દિવસમાં આ રોગ મટી જાય છે. જયારે આ સંક્રમણને કારણે આંખની દ્રષ્ટિને પણ નુકશાન થતું નથી.

નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આ સંક્રમણ એડીનો વાયરસ-એન્ટ્રો વાઇરસ દ્વારા ફેલાઇ રહ્યો છે. આ સંદર્ભે એમ એન્ડ જે આઇ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપ્થલ્મોલોજી, અમદાવાદ ખાતે કન્ઝકટીવાઇટીસ દર્દીઓની આંખમાથી લેવાયેલ નમૂનાની લેબોરેટરી પરિક્ષણમાં પણ આ વાઇરસની હાજરી જોવા મળી છે.

આંખના રોગોના નિષ્ણાતોના અભિપ્રાય મુજબ વાઇરસના કારણે લાગતા ચેપની સારવારમાં એન્ટીબાયોટીક આઇ ડ્રોપ્સ જેવા કે Moxifloxacin Eye Drops, Gatifloxacin Eye Drops અથવા Ciprofloxacin Eye Dropsની જરૂરીયાત દરેક દર્દીને હોતી નથી. ખાસ કિસ્સા જેવા કે સેકેન્ડરી બેકટેરીયલ ઇન્ફેકશન થવાના કારણે કીકીમાં રોગની અસર જણાય અને દ્રષ્ટિને નુકશાન થવાની સંભાવના હોય તેવા સંજોગોમાં તબીબોના અભિપ્રાય મુજબ આ એન્ટીબાયોટીક આઇ ડ્રોપ્સની સારવાર લેવાની થાય છે.

રાજ્યમાં હાલ આ વાઈરસના દૈનિક ૨૫ થી ૩૦ હજાર કેસો જોવા મળે છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાઈરલ કનઝંક્ટીવાઈટીસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે દરેક વ્યક્તિએ પોતાના હાથ અને મો ચોખ્ખા રાખવા. સાબુથી સમયાન્તરે હાથ અને મો ધોવું. ભીડ-ભાડ વાળી જગ્યાઓ જવાનું ટાળવુ જોઈએ. આંખમાં લાલાશ જણાય, દુખાવો થાય અથવા ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઇ સારવાર કરાવવી.

પોતાની જાતે ડોકટરની સલાહ વગર મેડીકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઇ  નાખવા નહીં. ડોક્ટરે લખી આપેલા ટીપા-દવા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા. પરીવારમાં જે દર્દીને કન્ઝકટીવાઇટીસની અસર થયી હોય, તેણે પોતાનો હાથ રૂમાલ, નાહ્વવાનો ટુવાલ, વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી, ઘરના અન્ય સભ્યો સાથે સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો તેમજ શક્ય હોય તો આંખોને ચશ્માથી રક્ષિત કરવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.