નૂહમાં શોભાયાત્રાને લઇને ફરી તણાવ, ઇન્ટરનેટ પર રોક
નવી દિલ્હી, હરિયાણાના નૂહમાં ફરી તણાવ વધી ગયો છે. વહીવટીતંત્રે આ માટે પરવાનગી આપી નથી. એટલું જ નહીં બહારના લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્ય અને જિલ્લાની સરહદો પર સુરક્ષા સઘન કરવામાં આવી છે.
નૂહમાં વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે શાળાઓ, કોલેજાે અને બેન્કોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં ઈન્ટરનેટ અને બલ્ક એસએમએસ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. નૂહમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સોમવારે બ્રજમંડળ યાત્રા કાઢવાની જાહેરાત બાદ વહીવટીતંત્ર એલર્ટ પર છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. ડીસીએ કહ્યું છે કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
ગામડાઓની શાંતિ સમિતિને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવા ફેલાવવા ન દે અને લોકોને ઘરમાં રહેવા સમજાવે. ૧૩ ઓગસ્ટે સર્વ-જ્ઞાતિ હિન્દુ મહાપંચાયત બોલાવવામાં આવી હતી. જેમાં ૨૮મી ઓગસ્ટે નૂહમાં બ્રજમંડળ શોભાયાત્રા કાઢવાનું નક્કી કરાયું હતું. વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું છે કે શોભાયાત્રા કાઢવામાં આવશે.
VHP અનુસાર, આવા ધાર્મિક કાર્યક્રમો માટે પરવાનગી લેવાની જરૂર નથી. જાેકે, સત્તાવાળાઓએ યાત્રાને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રવિવારે ભક્તોને સોમવારે કોઈ પણ ‘યાત્રા’નું આયોજન કરવાને બદલે તેમના નજીકના મંદિરોમાં પૂજા કરવાનું કહ્યું. તેમણે કહ્યું હતું કે યાત્રા માટે પરવાનગી આપવામાં આવી નથી. સરકારે ૨૬ થી ૨૮ ઓગસ્ટ સુધી મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુક્યો છે.
અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) મમતા સિંહે રવિવારે જણાવ્યું હતું કે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. નૂહમાં પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હરિયાણા પોલીસના ૧,૯૦૦ કર્મચારીઓ અને અર્ધલશ્કરી દળોની ૨૪ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
કોઈ બહારના વ્યક્તિને નૂહમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રવક્તાએ કહ્યું કે, જિલ્લાના તમામ એન્ટ્રી પોઈન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે અને મલ્હાર મંદિર તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે.
પોલીસે નૂહમાં વિવિધ સ્થળોએ બેરિકેડ લગાવ્યા છે અને નૂહમાં પ્રવેશતા વાહનોને સુરક્ષા કર્મચારીઓ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે. હરિયાણાના મુખ્યમંત્રીએ રવિવારે ચંદીગઢમાં પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) શત્રુજીત કપૂર સાથે બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
નૂહ હિંસાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી મનોહર લાલે રવિવારે પંચકુલામાં કહ્યું કે યાત્રા માટે પરવાનગી આપવામાં આવી નથી. લોકો આ વિસ્તારના નજીકના મંદિરોમાં જલાભિષેક માટે જ જઈ શકે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાજ્ય સરકારની જવાબદારી છે.SS1MS