Western Times News

Gujarati News

લોકસભા-રાજ્યસભાના ૭૮ સાંસદો શિયાળુ સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ

લોકસભા અધ્યક્ષ ઓમ બીરલાએ કોંગ્રેસ નેતા અંધીર રંજન ચૌધરી સહિત ૩૩ સાંસદોને લોકસભાના આખા સત્રમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

વિપક્ષો ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યા હતા

નવી દિલ્હી, લોકસભામાં બે યુવાનોએ સ્મોક એટેક કરતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે કડક કાર્યવાહી કરવાની અને સાથે રાજકારણ નહીં કરવા જણાવ્યું છે.. પરંતુ આજે સંસદના બંને ગૃહોમાં આ મુદ્દે વિરોધપક્ષોએ ભારે હોબાળો કર્યાે હતો. જેના પગલે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ લોકસભાના ૩૩ સાંસદોને અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડેએ વિપક્ષના ૪૫ સાંસદોને સત્ર સમાપ્તિ સુધી સસ્પેન્ડ કરી દીધા છે.

હાલ સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે, જોકે સંસદમાં તાજેતરમાં જ સુરક્ષામાં થયેલી ચૂક મામલે આજે ફરી હોબાળો મચ્યો છે. આ મામલે વિપક્ષો સતત પોતાની માંગને વળગી રહેતા લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો મચ્યો છે, જેના કારણે લોકસભા અધ્યક્ષ ઓમ બીરલાએ કોંગ્રેસ નેતા અંધીર રંજન ચૌધરી સહિત ૩૩ સાંસદોને લોકસભાના આખા સત્રમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

અધીર રંજન ચૌધરી ઉપરાંત કે.સુરેશ, તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી, સૌગત રોય, પ્રતિમા મંડલ, ડીએમકેના એ.રાજા અને આરએસપીના એન.કે.પ્રેમચંદ્રન સહિત ઘણા સભ્યોને ગૃહની બાકીના સત્ર માટે સસ્પેન્ડ કરાયા છે. આ સાથે જ લોકસભાની કાર્યવાહી પણ આવતીકાલ સુધી સ્થગિત કરી દેવાઈ છે. આજે લોકસભામાં કાર્યવાહી શરૂ થયા બાદ વિપક્ષે ફરી સરકારને ઘેરવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.

વિપક્ષો ૧૩ ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં થયેલી ચુક મામલે સતત વિરોધ કરી રહ્યા છે. આજે પણ આ મામલે વિપક્ષોએ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી રહ્યા હતા અને લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો, જેના કારણે લોકસભા અધ્યક્ષે આજે ૩૩ સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો,

જેને ધ્વનિમતથી મંજૂર કરાયા બાદ લોકસભા અધ્યક્ષે આ નિર્ણય કર્યો છે. અગાઉ વિપક્ષના કુલ ૧૪ સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. આમ અત્યાર સુધીમાં કુલ ૪૭ સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.