Western Times News

Gujarati News

લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયો

અમદાવાદ, લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ.

સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી.

તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહિ. પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ્‌ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટીવ એમસીક્યુની ટેસ્ટમાં ભાગ લઈ શકશે.

અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની એમસીક્યુની ટેસ્ટ લેવામાં આવતી હતી. તેના બદલે હવે ૨૦૦ ગુણનું ૩ કલાકન ઓબ્જેક્ટીવ એમસીક્યુની ટેસ્ટનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ- ‘એ’ અને ભાગ-‘બી’ એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે.

જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ્‌ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.

પહેલા લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહિ પરંતુ કોર્ષના સમયગાળા ના આધારે નીચે મુજબ આપવામાં આવશે. આખરી પસંદગી યાદી ઓબ્જેક્ટીવ એમસીક્યુની ટેસ્ટ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.