Western Times News

Gujarati News

અમદાવાદ: પતિએ પત્નીને છુટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કર્યા

અમદાવાદ, શહેરમાં રહેતી એક યુવતીએ એક યુવક સાથે થોડા સમય પહેલા લગ્ન કર્યા હતા. જો કે યુવતી ગુમ થતાં તેના પિતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે પરદો ઉચકાયો હતો. ત્યારે યુવતીના પિતાએ જમાઇ બાબતે તપાસ કરતા તે પરિણીત હોવાનું સામે આવ્યુ હતું.

આટલું જ નહિ છુટાછેડા આપ્યા વગર તેણે બીજા લગ્ન કર્યા હતા. સાથે જ મેરેજ રજીસ્ટ્રાર કચેરીમાં પણ ખોટા ડોક્યુમેન્ટ્‌સ અને સાક્ષી રજુ કરી પોતે અપરિણીત હોવાનું બતાવીને છેતરપિંડી આચરી હતી. જે મામલે યુવતીના પિતાએ જમાઇ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરિયાપુરમાં રહેતા ૫૧ વર્ષીય આધેડે પહેલી પત્ની સાથે છુટાછેડા લઇને બીજા લગ્ન કર્યા હતા.

ગત તા. ૨૦મીએ તેમની ૨૫ વર્ષીય દીકરી ગુમ થતાં તેમણે દરિયાપુર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ આધેડને જાણવા મળ્યુ કે પુત્રીએ દરિયાપુરના ૩૨ વર્ષીય યુવક સાથે ૧૧.૭.૨૦૨૩ના રોજ લગ્ન કરી લીધા હતા.

જેથી આધેડે તપાસ કરતા તેમના જમાઇએ અગાઉ લગ્ન કર્યા હતા અને તેની પત્નીએ છુટાછેડા પણ આપ્યા ન હતા. સાથે જ ઘીકાંટા કોર્ટમાં ઘરેલુ હિંસા તેમજ ભરણપોષણનો કેસ પણ ચાલુ છે. જેથી યુવકે પહેલી પત્નીને છુટાછેડા આપ્યા વિના જ અન્ય યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા હોવાનું સામે આવ્યુ હતું.

યુવકે બીજા લગ્ન બાબતે સ્ટેડિયમ વોર્ડમાં લગ્નની નોંધણી કરાવી હોવાનું માલુમ પડતા યુવતીના પિતાએ તે કચેરીમાં અરજી કરીને વિગતો અને ડોક્યુમેન્ટ્‌સ સહિતની વિગતો મંગાવી હતી. જેમાં સામે આવ્યુ કે, યુવકે મેરેજ રજીસ્ટ્રાર કચેરીમાં પોતે અપરિણીત હોવાનું નોટરી કરી ખોટા સાક્ષી રજુ કરી ખોટુ એફિડેવીટ રજુ કર્યુ હતું.

જેથી ખોટા ડોક્યુમેન્ટ્‌સ ઉભા કરીને યુવતી સાથે બીજા લગ્ન કરીને છેડતરપિંડી આચરનાર ધર્મેન્દ્ર વાઘેલા સામે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.