Western Times News

Gujarati News

મહાત્મા મંદીર ખાતે ૯મી માર્ચે “યુવા સાંસદ – ૨૦૨૪” કાર્યક્રમનું આયોજન

‘વિકસિત ભારત @૨૦૪૭’ સંકલ્પને સાકાર કરવા યુવાઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે ત્યારે આ વિઝનની સિધ્ધિ સુધી પહોંચવા ‘યુવા સાંસદ’ કાર્યક્રમ મહત્વનું પ્લેટફોર્મ સાબિત થશે : મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ સંકલ્પને સાકાર કરવા દેશના યુવાઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે ત્યારે આ વિઝનની સિધ્ધિ સુધી પહોંચાડવા ગુજરાતનું યોગદાન વિશેષ રહે તે માટે ‘યુવા સાંસદ’ કાર્યક્રમ મહત્વનું પ્લેટફોર્મ સાબિત થશે તેમ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા યુવાઓના ઉત્કર્ષ માટે તેમજ સંસ્કૃતિના સંવર્ધન માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું આવ્યું છે. દેશ જ્યારે વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે ત્યારે સર્વાંગી વિકાસ થાય તે અતિ મહત્વનું છે. વિશ્વમાં ભારત દેશ સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે, ત્યારે આવતી કાલે તા.૦૯મી માર્ચ ૨૦૨૪ને શનિવારના રોજ સવારે ૯.૦૦ કલાકે મહાત્મા મંદીર, કન્વેન્શન સેન્ટર ખાતે “યુવા સાંસદ – ૨૦૨૪” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત અન્ય ઉચ્ચ પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતીમાં આ “યુવા સાંસદ – ૨૦૨૪” નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજનાર છે. જ્યારે સમાપન સમારોહ સાંજે ૦૫-૦૦ થી ૦૬-૦૦ કલાક દરમિયાન માન.ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માન.સાંસદસભ્યશ્રી સી.આર.પાટીલ સહિત અન્ય ઉચ્ચ પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતીમાં થનાર છે.

આજનો યુવા દેશની આવતીકાલનું ભવિષ્ય છે. ત્યારે યુવા પેઢીમાં સ્વ-શિસ્તની ભાવના, વિવિધ અભિપ્રાયો પ્રત્યેની સહિષ્ણુતા, વિચારોની પ્રામાણિક અભિવ્યક્તિ અને લોકતાંત્રિક જીવનશૈલીના અન્ય ગુણો કેળવાય તેવો આશય આ કાર્યક્રમનાં આયોજન થકી ચરિતાર્થ થશે. આ ઉપરાંત આ કાર્યક્રમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સંસદની પ્રથાઓ અને પ્રક્રિયાઓ, ચર્ચા અને વાદ-વિવાદની તકનીકોથી પણ માહિતગાર થશે. સાથે સાથે તેમનામાં આત્મવિશ્વાસ, નેતૃત્વની ગુણવત્તા અને અસરકારક વક્તૃત્વની કળા અને કૌશલ્યનો પણ વિકાસ થશે.

યુવા સંસદનું આયોજન લોકશાહીના મૂળને મજબૂત કરવાનો, શિસ્તની તંદુરસ્ત ટેવો કેળવવાનો અને યુવાનોને સંસદની પ્રથાઓ અને પ્રક્રિયાઓ વિશે જાણવા માટે સક્ષમ બનાવશે. જેના થકી યુવાનો મોટી સંખ્યામાં રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા સક્ષમ બનશે.

રાજ્યસરકાર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં રાજ્યની ૮૩ કરતાં વધુ યુનિવર્સિટીનાં નોડલ અધિકારી વિદ્યાર્થીઓને લઈને ૦૮/૦૩/૨૦૨૪ના રોજ ગાંધીનગર ખાતે આવશે. જેમાં સાંસદ તરીકે ૫૫૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. તા. ૦૯/૦૩/૨૦૨૪ના રોજ મહાત્માં મંદિર ખાતે કન્વેન્શનલ હોલમાં સંપૂર્ણ સંસદીય પ્રણાલી અનુસરીને સંસદની કાર્યવાહી શરુ કરવામાં આવશે.

સૌ પ્રથમ સાંસદશ્રીઓને શપથ ગ્રહણ કરાવવામાં આવશે. ત્યારબાદ ગૃહમાં અધ્યક્ષ સહિત આશરે કુલ ૩૫ જેટલા વિદ્યાર્થિઓ મંત્રી બનીને ગૃહમાં ચર્ચા કરશે અને પ્રશ્નોના જવાબ આપશે. સમગ્ર કાર્યવાહી એક દિવસમાં કુલ ચાર સેશનમાં કરવામાં આવશે. ઉપરાતં શૂન્ય કાળ, તારાંકીત અને અતારાંકીત પ્રશ્નો સહિત વિવિધ મહત્વના વિષય પર ચર્ચા કરવામાં આવશે. કામગીરી દરમ્યાન પાંચ મહત્વના બીલ પર ચર્ચા થશે અને ચર્ચાને અંતે વોટીંગ પેડના માધ્યમથી મતદાન પણ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.