જાફરાબાદમાં સિંહોની અંદરો અંદર લડાઈમાં ત્રણ સિંહ બાળનાં મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/04/Lion.jpeg)
અમરેલી, અમરેલી જીલ્લાના જાફરાબાદ માઈન્સ વિસ્તારમાં સિંહના ગ્રુપ વચ્ચે થયેલી ઈનફાઈટમાં ત્રણ સિંહબાળના મોત થયાની ઘટના સામે આવે છે. આની જાણ થતાં વનવિભાગ દોડતું થઈ ગયું હતું. ત્રણેય સિંહબાળના મૃતદેહોને બાબરકોટ એનીમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યા હતા.
અમરેલીના જાફરાબાદ રેન્જમાં આવેલા માઈનસ વિસ્તારમાં સિંહના ગ્રુપ વચ્ચે ઈનફાઈટ થઈ હતી. જેમાં ત્રણ સિંહબાળ ગંભીર રીતે ઘવાતા મોત નીપજયા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલીક વનવિભાગની ટીમો ઘટનાસ્થળ પર પહોચી હતી.
ત્રણે સિંહબાળના મૃતદેહોને બાબરકોટ એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. જાફરાબાદ માઈન્સ વિસ્તારમાં સિંહના કયા ગ્રપ વચ્ચે ઈનફાઈટ થઈ હતી તેને લઈ વનવિભાગ દ્વારા સ્કેનીગ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
સિંહની ઈનફાઈટમાં એકસાથે ત્રણ સિંહબાળાના મોત થતા વનવિભાગ પણ ચોકી ઉઠયું છે. આ બનાવ અંગે જાફરાબાદ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફીસર જી.એલ. વાઘેલાએ સ્થાનીક મીડીયાને જણાવ્યું હતું કે, માઈન્સ વિસ્તારમાં ઈનફાઈટના કારણે ત્રણ સિંહબાળના મોત થયા છે. આ અંગે અમારી ટીમો તપાસ કરી રહી છે. નોધનીય છેકે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન ૧ર૦થી વધુ સિંહબાળના મોત થઈ ચુકયા હોવાનું સામે આવ્યું છે.