Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પર નોટિસ પિરિયડના પાઈલટ હાજર ન થતા ૫૦થી વધુ ફ્લાઈટ રદ્દ

અમદાવાદ, પાડાના વાંકે પખાલીને ડામ! લાંબા સમયથી અમદાવાદ એરપોર્ટ પર એરલાઈન્સ કંપનીઓના ધાંધિયા ચાલી રહ્યાં છે. જેને કારણે મુસાફરો હેરાન થઈ રહ્યાં છે. ખાસ કરીને છેલ્લાં બે દિવસથી અમદાવાદ એરપોર્ટ પર પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ. એક તરફ પાયલોટ લોબીની પોતાની પ્રોબ્લેમ ચાલી રહી છે. ત્યાં બીજી તરફ એમના લીધે સંખ્યાબંધ પેસેન્જર્સ હેરાન થઈ રહ્યાં છે.

અન્ય સામાન્ય નોકરીઓની જેમ વિમાનની હાઈફાઈ અને ફ્લાઈંગ નોકરીમાં પણ કાગળા તો કાળા જ છે. આનું વધુ એક ઉદાહરણ અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યું.

મંગળવારે વિસ્તારા એરલાઈન્સ દ્વારા વેતનમાં કાપ મુકતા પાયલટ નાખુશ હોવાનો મામલો સામે આવ્યો છે. જેને પગલે એક બાદ એક પાયલોટ બીજી કંપનીમાં ઉંચા પગારમાં નોકરી પર જવાની તૈયારીઓ કરી રહ્યાં છે. પાયલોટ રાજીનામાં ધરીને બેઠાં છે.

જેને પગલે નોટિસ પિરિયડ પર હોવાથી પાયલોટ ટાઈમસર પોતાની શિફ્ટમાં હાજર થતાં નથી, જેથી મોંઘીદાટ ટિકિટો ખર્ચીને ઉતાવળે કોઈ જગ્યાએ પહોંચવા માટે પ્લેનની ટિકિટ બુક કરનારા ઢગલાબંધ મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

અમદાવાદથી વિસ્તારાની સવારે ૭.૧૫ વાગ્યાની બેંગ્લુરુ અને ૮.૪૦ દિલ્હી જતી ફ્લાઈટ રદ કરાઈ હતી. અન્ય એક બેંગ્લુરુની ફ્લાઈટ સાંજે ૫ઃ૩૫ના બદલે ૬.૪૪ વાગે એટલે કે સવા કલાકના વિલંબ બાદ રવાના થઈ હતી.

શિફ્ટ લગાવેલી હોવા છતાં રાજીનામાં ધરીને બેઠેલા પાયલોટ ટાઈમસર પોતાની શિફ્ટમાં હાજર ન થતાં વિસ્તારા એરલાઈન્સે પોતાની બે ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી છે. જેને પગલે ૩૦૦ પેસેન્જર કલાકો સુધી અમદાવાદ એરપોર્ટ પર જ રઝળી પડ્યાં હતાં.

આ પેસેન્જર્સને ક્યાંય અરજન્ટ પહોંચવાનું હશે એટલે જ ફ્લાઈટની મોંઘી ટિકિટ બુક કરાવી હશે. પણ પાયલોટની આડોડાઈને કારણે પેસેન્જર્સનું શિડ્યુલ ખોરવાઈ ગયું છે. પ્રાપ્ત માહિતી મુજબ એર ઈન્ડિયા સાથેના મર્જર પહેલા વિસ્તારા એરલાઈન એચઆર પોલિસીને લઈ ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે. વેતનમાં કાપ મૂકવાથી પાઈલટ આડોડાઈ પર ઉતરી આવ્યાં છે.

જોકે, પાયલટ અને એરલાઈન્સ કંપની વચ્ચેનો મામલો છે, પણ એમના આંતરિક વિખવાદને લીધે મોંઘી ટિકિટ ખર્ચીને સરસામાન સાથે ‘ઘોડા-ગાડી’ કરીને એરપોર્ટ પર આવેલાં ૩૦૦ મુસાફરો કલાકો સુધી રઝળતા રહે તે કઈ રીતે સાંખી લેવાય. કેટલાક પાયલોટ અન્ય એરલાઇન્સમાં જોડાયા હોવાથી રાજીનામાં આપી નોટિસ પિરિયડ પર છે.

પાયલોટ સમયસર ડ્યુટી પર હાજર ન થતાં સોમવારે ૫૦થી વધુ ફ્લાઇટો રદ થઈ હતી જેને કારણે ઢગલો મુસાફરોને હાલાકી થઈ હતી. જ્યારે ઘણી ફ્લાઈટો મોડી પડી હતી. ત્યારે મંગળવારે અમદાવાદથી બે ફ્લાઇટો રદ કરાતા ૩૦૦ પેસેન્જર રઝળી પડ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.