Western Times News

Gujarati News

વડગામ-પાલનપુરના ૧ર૬ તળાવોને નર્મદાના નીરથી ભરાશે

પ્રતિકાત્મક

વડગામ, ખેડૂતોની રજૂઆતોના અંતે વડગામ, પાલનપુરના ૧ર૬ તળાવો હવે મહેસૂલી રેકોર્ડમાં સમાવાયા છે જેના લીધે તે તમામ તળાવ કુદરતી તળાવ તરીકે નોંધાતા નર્મદાના પાણીથી ભરાશે. વહીવટી તંત્રે સરપંચો સાથે બેઠક કૃયા બાદ તળાવોની માપણી અને કાર્યવાહી પૂર્ણ કરાઈ છે જેમાં વડગામના ૭૩ અને પાલનપુરના પ૩ તળાવોનો સમાવેશ કરાયો છે.

સિદ્ધપુરના ડિંડરોલથી વડગામના કરમાવદ તળાવ સુધીની પાઈપલાઈન નાંખવાની પૂરી થઈ છે. જો કે, નજીકના ગામોના તળાવો સરકારી રેકર્ડ પર તળાવ ન હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ હતી. આસપાસના ગામોમાં વિરોધ ઉઠયો હતો. કેટલાક ખેડૂતોએ કલેકટર કચેરી રૂબરૂ પહોંચી તળાવો ભરવા રજૂઆત કરી હતી.

ભૂગર્ભ જળસ્તર નીચે જતા ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતા છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર દ્વારા નર્મદા કેનાલ આધારિત ઉદ્ધવ સિંચાઈ યોજના અંતર્ગત વિવિધ પાઈપલાઈન પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા છે. આ યોજના મુજબ વિસ્તારમાં આવેલા તળાવો સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું આયોજન હતું પરંતુ તેના માટે જરૂરી હતું કે, ગામના મહેસૂલી રેકોર્ડ એટલે ૭/૧રમાં તે તળાવો કુદરતી તરીકે નોંધાયેલા હોવા જોઈએ.

સ્થાનિક સ્તરે રજૂઆતો કરવામાં આવી ત્યારબાદ સરકાર દ્વારા મહેસૂલી પરિપત્ર બહાર પાડી મહેસૂલી રેકોર્ડમાં કુદરતી તળાવો નોંધવાની સત્તા સ્થાનિક પ્રાંત અધિકારીને સોંપવામાં આવી હતી

જેના અનુસંધાને વડગામ અને પાલનપુર તાલુકાના વહીવટી તંત્ર દ્વારા સરપંચ મંડળ સાથે બેઠક યોજી તમામ ગામોના તળાવોની માપણી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થતાં હવે વડગામ તાલુકાના ૭૩ અને પાલનપુર તાલુકાના પ૩ મળી કુલ ૧ર૬ તળાવો મહેસૂલી રેકોર્ડમાં કુદરતી તળાવ તરીકે નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.