Western Times News

Gujarati News

રોકાણની સામે ૧૦ ટકા વળતરની લાલચમાં ચાંદખેડાના વૃદ્ધે રૂપિયા ૩૦ લાખ ગુમાવ્યા

અમદાવાદ, શહેરમાં રહેતા એક વૃદ્ધ રેલવે ડિપાર્ટમેન્ટની ડીએફસીસીની એક કંપનીમાં નોકરી હતા. જે બાદ રિટાયર્ડ થતાં વર્ષ ૨૦૨૦માં તેમને રિટાયર્ડમેન્ટની કેટલીક રકમ મળી હતી. જેથી બાજુની કંપનીમાં કામ કરતા ગઠિયાએ એક વ્યક્તિ શેરબજારનો વેપાર કરે છે અને તે કેટલાક લોકોને ધિરાણ કરે છે, તેમના ત્યાં ધિરાણ કરતા લોકોને ૧૦ ટકા વળતર આપતો હોવાની વાત કરી હતી.

જેથી વૃદ્ધને રસ પડતા તેમણે જીવનભરની મૂડી અને રિટાયર્ડમેન્ટની આવેલી રકમ સહિત ૩૦ લાખનું રોકાણ કર્યું હતું. બાદમાં ગઠિયાએ વળતર ન આપીને જેના ત્યાં રોકાણ કર્યું તેનું અવસાન થયું હોવાનું બહાનું બતાવીને છેતરપિંડી આચરી હતી. સાબરમતી પોલીસે બંને લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય નિરંજનભાઇ મોદી રેલવે ડિપાર્ટમેન્ટની ડીએફસીસીની એક કંપનીમાં નોકરી કરતા હતા.

ત્યારે બાજુમાં આવેલી એક કંપનીની ઓફિસમાં નોકરી કરતા વિશાલ ભુવા સાથે પરિચય થયો હતો. વર્ષ ૨૦૨૦માં નિરંજનભાઇ રિટાયર્ડ થયા હોવાથી રિટાયર્ડમેન્ટના નાણાં મળ્યા હતા. આ વાત વિશાલ ભુવા જાણતો હતો. જેથી તેણે ભૌમિક સોની કે જે શેરબજારનો ધંધો કરે છે અને જરૂરિયાતમંદ લોકોને ધિરાણ કરે છે અને ધિરાણ કરતા લોકોને ૧૦ ટકા વળતર આપે છે તેવી લાલચ આપી હતી. આમ, નિરંજનભાઇને રસ પડતા તેમણે રોકાણ કર્યું હતું.

શરૂઆતમાં વિશાલ ભુવાએ દોઢ લાખ વળતર આપ્યું હતું. જેથી નિરંજનભાઇને વિશ્વાસ આવતા તેણે વધુ રકમ મળીને કુલ રૂપિયા ૩૦ લાખનું રોકાણ કર્યું હતું. પરંતુ, બાદમાં વળતર ન મળતા વિશાલ ભુવાએ રોકાણની રકમ લેનાર ભૌમિક સોનીનું અવસાન થયું હોવાનું કહીને નાણાં ચાંઉ કરી લીધા હતા. સાબરમતી પોલીસે આરોપી વિશાલ ભુવા (રહે. તીઓલી સોસાયટી, જગતપુર) સહિત બે લોકો સામે ગુનો નોંધી તપાસ આરંંભી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.