BJPના આ નેતાએ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સામે ફરિયાદ નોંધાવી
ખડગેએ મંચ પરથી વાંધાજનક નિવેદન કર્યું : ભાજપ
નવી દિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આસામમાં એક ચૂંટણી સભા દરમિયાન એક નિવેદન કરતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. વાસ્તવમાં તેમણે ચૂંટણી સભા દરમયિાન BJP-RSSની તુલના સાંપો સાથે કરી હતી, જેના કારણે ભાજપે વાંધો ઉઠાવ્યો છે. ખડગેના નિવેદન બાદ ભાજપ નેતા રંજીવ કુમાર શર્માએ તેમની સામે ફરિયાદ નોંધાવી છે.
ભાજપ નેતાએ આસામમાં ભાજપ કાર્યાલય પાસેના પોલીસ સ્ટેશનમાં ખડગે વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. ભાજપે કહ્યું કે, ખડગેએ ચૂંટણી મંચ પરથી વાંધાજનક નિવેદન કર્યું છે. આવા નિવેદનથી રાજકીય માહોલને નુકસાન પહોંચે છે. ફરિયાદ બાદ પોલીસે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ખડગેએ આરએસએસ-ભાજપની તુલના સાપ સાથે કર્યા બાદ રાજકારણ ગરમાયું છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ખડગે પર નિશાન સાધતા કહ્યું કે, ‘દેશમાં જ્યાં સુધી ભાજપ અને આરએસએસ છે, ત્યાં સુધી દેશમાં દહેશત ફેલાવનારાઓ માટે કોઈ જગ્યા નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ પોતાના કાર્યકાળ દરમિયાન દેશને ખૂબ લૂંટ્યો છે અને હવે તેવો આવા નિવેદનો કરી રહ્યા છે. તેમનું નિવેદન સાંભળ્યા બાદ એ સ્પષ્ટ થયું છે કે, તેઓ પરેશાન થઈ ગયા છે અને દેશની પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ લોકો નમાજ પઢનારા લોકો સાથે રહે છે, તેથી જ આવા વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યા છે.’ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આસામમાં એક ચૂંટણી સભા દરમિયાન આરએસએસ અને ભાજપને ઝેરીલા સાંપ કહ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને બંનેને કચડી નાખવાની અપીલ કરી હતી.
