માણસામાં માવઠા વખતે દીવાલ ઘસી પડતા બાળકનું મોત, એક ઈજાગ્રસ્ત
ગાંધીનગર, રાજ્યભરના વાતાવરણમાં મંગળવારે એકાએક પલ્ટો આવ્યો હતો. તેની વ્યાપક અસર ગાંધીનગર જિલ્લાના માણસા અને દહેગામ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વર્તાવાની સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. એકાએક માવઠું થતાં માણસા માર્કેટયાર્ડમાં એરંડાની ૨૦૦થી વધુ બોરીનો જથ્થો તણાઇ જતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતાં.
આ ઉપરાંત માણસા શહેરમાં મંગળવારે વરસાદ દરમિયાન મકાનની દીવાલ ધસી પડતાં એક બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે આ બનાવમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર માણસા શહેરમાં એલ.બી.આર.ડી. સ્કૂલ અને કુમારશાળા સામે આવેલા દંતાણી વાસમાં દીવાલ પડતાં તેના કાટમાળ નીચે દંતાણી કરણ અજીતભાઈ (ઉં.૧૨ વર્ષ) દબાઈ જતા ગંભીર ઇજાઓ થતાં તેનું મોત થયું હતું. જ્યારે દંતાણી વિજયભાઈ ભગુભાઈ નામની વ્યક્તિ પણ ગંભીર ઇજાગ્રસ્ત થયા છે.
કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે આ મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. વરસાદ અને વાવાઝોડાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ઉખડી ગયા હતા. દીવાલ પડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક કાટમાળ ખસેડી દબાયેલા બાળક તથા અન્ય વ્યક્તિને બહાર કાઢ્યા હતા.
બંનેને સારવાર અર્થે માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બાળકને મૃત જાહેર કરાયો હતો.માર્કેટ યાર્ડમાં મંગળવારે આવેલા એરંડાના જથ્થા પૈકી ૧૫૦૦ બોરીની હરાજી માવઠું થવાના કારણે થઇ શકી નથી અને બીજા દિવસે બુધવારે હરાજી કરવાનું ખેતીવાડી ઉત્પન્ન બજાર દ્વારા નક્કી કરાયું હતું, પરંતુ ભારે વરસાદના કારણે યાર્ડમાં અનાજ પલળી જવાથી અને પાણી સાથે કચરો તણાઇ આવતા ગંદકી થવાથી બુધવારે પણ હરાજી થઇ શકી ન હતી. જેથી ઘંઉ અને કપાસ સહિતની જણસો વેચવા આવેલા ખેડૂતોને પરત ફરવું પડ્યું હતું.SS1MS
