Western Times News

Gujarati News

શંકાસ્પદ પુરાવાના જોરે ટ્રાયલ ચલાવવી અયોગ્ય

અમદાવાદ, અમદાવાદની સ્પેશિયલ જીપીઆઈડી કોર્ટે રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના ગંભીર આરોપોમાં એક મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે.

પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને ખાસ જજ કે.એમ. સોજીત્રાએ આ કેસના આરોપી શૈલેષભાઈ જયંતિભાઈ ભાવસારને તેમના વિરુદ્ધ કોઈ પણ નક્કર પુરાવા ન મળતા તમામ આરોપોમાંથી ડિસ્ચાર્જ (મુક્ત) કર્યા છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, શંકાસ્પદ પુરાવાઓના જોરે ટ્રાયલ ચલાવવી અયોગ્ય છે, શૈલેષભાઈ ભાવસાર વિરુદ્ધ જીપીઆઈડી એક્ટની કલમ ૩, આઈ.ટી. એક્ટની કલમ ૬૬(સી) અને ૬૬(ડી) તેમજ આઈપીસીની વિવિધ કલમો હેઠળ કોઈ કેસ બનતો નથી.

આથી, કોર્ટે તેમને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવાનો આદેશ આપ્યો છે. સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મુખ્ય આરોપી દીપેન ભાવસાર અને અન્ય શખ્સોએ રોકાણકારોને આકર્ષક સ્કીમો બતાવી, રોકાણ કરેલી રકમ ડબલ કરી આપવાની લાલચ આપી હતી.

આ રીતે ફરિયાદી અને અન્ય સાક્ષીઓ પાસેથી અંદાજે ૨૯.૬૫ લાખ રૂપિયા જેટલી રકમ ઉઘરાવવામાં આવી હતી. જ્યારે રોકાણ પાકતી મુદતે પરત કરવાનો સમય આવ્યો, ત્યારે આરોપીઓએ પૈસા ચૂકવ્યા નહોતા. આ કેસમાં શૈલેષભાઈ ભાવસાર, જેઓ મુખ્ય આરોપી દીપેન ભાવસારના પિતા છે, તેમના પર પણ ગુનાહિત કાવતરામાં સામેલ હોવાનો અને તેમના બેંક ખાતામાં પૈસા આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ કેસમા શૈલેષભાઇ ભાવસારે કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી જેમાં તેમના તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સાણંદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મૂળ એફઆઈઆરમાં તેમનું નામ ક્યાંય પણ ઉલ્લેખિત નથી. તપાસ દરમિયાન પાછળથી તેમનું નામ જોડવામાં આવ્યું છે.

ચાર્જશીટના કાગળો જોતા માલૂમ પડે છે કે આરોપીની આ ગુનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ સંડોવણી નથી. તેઓએ કોઈ રોકાણકારને પૈસા રોકવા માટે લાલચ આપી નથી કે કોઈ સ્કીમ સમજાવી નથી. આરોપીના બેંક ખાતામાં જે રકમ જમા થઈ હતી, તે તેમના પુત્ર (મુખ્ય આરોપી દીપેન ભાવસાર)ના કહેવાથી થઈ હતી. આરોપીને એ જાણ નહોતી કે આ રકમ કોઈ છેતરપિંડી કે ગુનાહિત પ્રવૃત્તિ દ્વારા મેળવવામાં આવી છે.

વધુમાં રજૂઆત કરી હતી કે, તપાસમાં જે ફ્લેટ બુકિંગની વાત આવી છે, તે બાબતે રજૂઆત કરાઈ હતી કે પુત્રના કહેવાથી માત્ર બુકિંગની પ્રક્રિયામાં સામેલ થવું એ કોઈ ગુનાહિત કાવતરું સાબિત કરતું નથી. ચાર્જશીટમાં રજૂ કરેલા ૨૦ સાક્ષીઓમાંથી કોઈ પણ સાક્ષીએ એવું નિવેદન આપ્યું નથી કે શૈલેષભાઈએ તેમની સાથે કોઈ વાતચીત કરી હોય કે પૈસાની માગણી કરી હોય. આરોપી દ્વારા કોઈ પણ રોકાણકારને સર્ટિફિકેટ કે પહોંચ આપવામાં આવી નથી.

આ કેસમાં આઈપીસીની કલમ ૪૦૬ (વિશ્વાસઘાત), ૪૨૦ (છેતરપિંડી) કે જીપીઆઈડી એક્ટની કલમો લાગુ પડતી નથી, કારણ કે આરોપીનો કોઈ ગુનાહિત ઈરાદો હોવાનું રેકોર્ડ પર સાબિત થતું નથી. ત્યારે ડિસ્ચાર્જ કરવા જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને કેસમાંથી ડિસ્ચાર્જ કર્યાે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.