Western Times News

Gujarati News

કિન્નર સમાજની માનવતા: ઘરડાઘરને રૂ.૧ લાખનું કરિયાણું, રૂ.૫૧ હજાર રોકડ સહાય

સારિકા માસીના નેતૃત્વ હેઠળ નડિયાદમાં મહિપાલસિંહ ફાઉન્ડેશનને રૂ.૧ લાખનું કરિયાણું અને ૧૪૦થી વધુ સાડીઓનું દાન

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના કિન્નર સમાજ દ્વારા માનવતાની અનોખી મિસાલ પૂરું પાડતા એક ભગીરથ સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. કિન્નર સમાજના આગેવાન સારિકા માસીના નેજા હેઠળ ગજરોજ નડીઆદ ખાતે આવેલ મહિપાલસિંહ ફાઉન્ડેશનને એક લાખ રૂપિયાનું કરિયાણું, ૫૧ હજાર રૂપિયાની રોકડ સહાય તથા ૧૪૦થી વધુ સાડીઓનું દાન કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય માત્ર સહાય પૂરતું સીમિત ન રહી, પરંતુ સમાજમાં માનવતા, સહકાર અને સેવા ભાવનાનું મજબૂત સંદેશ આપતું બન્યું છે.

આ પ્રસંગે કિન્નર સમાજના સભ્યોમાં ભારે ઉત્સાહ અને સેવા માટેની લાગણી જોવા મળી હતી. સારિકા માસીના માર્ગદર્શન હેઠળ પૂજા દે, ભાવના દે, કરિશ્મા દે, નિશા દે, પિન્કી દે સહિતની ટીમે એકજૂટ થઈ આ કાર્યને સફળ બનાવ્યું હતું. દરેક સભ્યે પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપીને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહિપાલસિંહ ફાઉન્ડેશન ખાતે સહાય સ્વીકારવામાં આવી હતી, જ્યાં જરૂરિયાતમંદ લોકો માટે આ સહાય ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને કરિયાણું અને સાડીઓ જેવી જરૂરી વસ્તુઓના વિતરણથી ગરીબ અને પીડિત વર્ગને સીધી રાહત મળશે.

મહિપાલસિંહ ચોહાણે આ પ્રસંગે ગોધરા કિન્નર સમાજનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આવો સહકાર અને સેવા ભાવના સમાજ માટે પ્રેરણારૂપ છે.

કિન્નર સમાજે જે રીતે આગળ આવીને મદદ કરી છે, તે ખરેખર પ્રશંસનીય છે અને અન્ય સમાજ માટે પણ એક આદર્શ બની શકે છે.”આ ભગીરથ કાર્યને જોઈને સ્થાનિક લોકોમાં પણ ખુશી અને ગર્વની લાગણી પ્રસરી હતી. ઘણા લોકોએ કિન્નર સમાજના આ પગલાને આવકાર આપ્યો અને આવનારા સમયમાં આવા સેવાકાર્યોમાં પોતે પણ જોડાવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમ એ સાબિત કરી દીધું કે માનવતા માટે કોઈ ભેદભાવ નથી હોતો. સમાજના દરેક વર્ગે જો આવી સેવા ભાવનાથી કાર્ય કરે, તો જરૂરિયાતમંદ લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકાય. ગોધરા કિન્નર સમાજનું આ કાર્ય ખરેખર સમાજ માટે પ્રેરણાદાયક બની રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.