Western Times News

Gujarati News

પોલીસ કોન્સ્ટેબલની પત્નીના મોત મામલે અમદાવાદમાં કરણી સેનાનો ઉગ્ર દેખાવ

ગીતા રાજપુરોહિતના મોત મામલે અમદાવાદમાં કરણી સેનાનો ઉગ્ર દેખાવ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલની પત્ની ગીતા રાજપુરોહિતની આપઘાતના કેસમાં ૨૦ દિવસ બાદ પણ આરોપીની ધરપકડ ન થતા વિવાદ વકર્યો છે. આજે રાજસ્થાનથી આવેલા લોકો અને કરણી સેનાના કાર્યકર્તાઓ સહિત ૫૦૦થી વધુ લોકોએ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે રેલી કાઢી ઉગ્ર દેખાવો કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, ગત ૧૫મી એપ્રિલના રોજ વાસણા વિસ્તારમાં ગીતા રાજપુરોહિત નામની મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ મામલે વાસણા પોલીસે મૃતકના પતિ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પુરોહિત સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

મૃતકના પિયર પક્ષનો આક્ષેપ છે કે આ આપઘાત નહીં પરંતુ હત્યા છે, અને તેઓ છેલ્લા ૨૦ દિવસથી હત્યાની ફરિયાદ નોંધાવવા અને આરોપીની ધરપકડની માંગ કરી રહ્યા છે.

ન્યાયની માંગ સાથે આજે સ્થિતિ તંગ જોવા મળી હતી. ‘જસ્ટિસ ફોર ગીતા’ ના પોસ્ટરો સાથે રાજસ્થાનથી આવેલા વિવિધ સંગઠનો અને કરણી સેનાના સભ્યો રેલી સ્વરૂપે કમિશનર કચેરી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટેલા ટોળાને કારણે પોલીસ કમિશનર કચેરીના ગેટ બંધ કરી દેવાની ફરજ પડી હતી, જેથી લોકો ગેટની બહાર જ બેસી ગયા હતા.

કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતની હાજરીમાં પરિવારના ૧૦ સભ્યોને રજૂઆત માટે અંદર લઈ જવામાં આવ્યા હતા. કોઈ અધિકારી તુરંત મળવા ન આવતા પરિવારે કચેરીની અંદર જ રામધૂન બોલાવવાની શરૂ કરી હતી અને કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા.

પોલીસ કમિશનર હાજર ન હોવાથી ઇન્ચાર્જ કમિશનરને રજૂઆત કરવા માટે પરિવારને લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૨૦ દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ વિભાગના જ કર્મચારી એવા આરોપી પતિની ધરપકડ ન થતા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.