રાજ્યના 8 IPS અધિકારીઓ પાકિસ્તાન બોર્ડરને સ્પર્શતા ગુજરાતના 16 સરહદી ગામોની મુલાકાત લેશે
તમામ અધિકારીશ્રીઓ રાત્રિ રોકાણ પણ આ ગામોમાં જ કરશે –મુલાકાત દરમિયાન દુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો અને ગ્રામજનો સાથે સંવાદ, રાત્રીસભા જેવા બોર્ડર પેટ્રોલિંગનું નિરીક્ષણ જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા અને સમીક્ષા કરશે
ગાંધીનગર, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના ૮ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ આગામી તા. ૧૧ અને ૧૨ જૂને પાકિસ્તાન સરહદ સાથે સ્પર્શતા ગુજરાતના સરહદી વિસ્તાર વાવ – થરાદ, પાટણ અને કચ્છ જિલ્લાના ૧૬ બોર્ડર વિલેજિસની મુલાકાત લેશે અને ત્યાં જ સ્થાનિકના ઘરે રાત્રિ રોકાણ કરશે.
આ મુલાકાતનો મુખ્ય હેતુ રાજ્યની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદોની સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવા તેમજ સીમાવર્તી વિસ્તારોના નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવાનો છે.
આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત ADGP શ્રી વાબંગ જમીર, વાવ – થરાદ જિલ્લાના આસરગામ અને રાછેણા ગામની મુલાકાત કરશે. આ ઉપરાંત ADGP શ્રી અજયકુમાર ચૌધરી કચ્છ(ઈસ્ટ) જિલ્લાના શિરાનીવાંઢ અને જટાવાડા ગામ, IGP શ્રી બિપિન શંકરરાવ આહિરે પાટણ જિલ્લાના ધોકવાડા અને ચારણકા, DIGP શ્રી એ. એમ. મુનિયા વાવ – થરાદ જિલ્લાના રાડોસણ અને ગોલપ ગામની મુલાકાત લેશે.
આ ઉપરાંત કચ્છ (વેસ્ટ) જિલ્લામાં DIGP શ્રી કે. એન. ડામોર જુના અને દેઢીયા ગામ, DIGP ડો. લીના પાટીલ ઉધમો અને પટાગર, ACP શ્રી આર. ટી. સુસરા પુંરાજપુર અને ગુનાઉ તથા DIGP શ્રી સુધા એસ. પાંડે દીનારા અને ભીતારા મોટા ગામોની મુલાકાત કરી રાત્રી રોકાણ કરશે.
આ બે દિવસીય બોર્ડર વિલેજ વિઝિટ પ્રોગ્રામ ઔપચારિક મુલાકાત નહીં, પરંતુ સરહદ સુરક્ષા અને ગ્રામીણ સમીક્ષા માટેની એક સઘન કવાયત છે. મુલાકાત દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસણી, દુર્ગમ વિસ્તારોના પોલીસ જવાનો સાથે સંવાદ, રાત્રીસભા, ગ્રામજનો સાથે લોકસંવાદ તથા સુરક્ષા જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા અને સમીક્ષા કરશે.
