સલાયાનું માલવાહક જહાજ ઓમાનના દરિયામાં ડુબ્યું
બે ખલાસીઓના મોત
દરિયામાં ખરાબ હવામાન અને જહાજના બંને મુખ્ય એન્જિન ફેઈલ થતાં બનાવ, ૧૨ ખલાસીઓને બચાવી લેવાયા
ખંભાળિયા,સલાયા,ખંભાળિયા તાલુકાના સલાયાનું એક માલવાહક જહાજ ગઈકાલે ઓમાનના દરિયામાં ડૂબી ગયું છે. આ દુર્ઘટનામાં જહાજ પર સવાર બે ખલાસીઓના મોત થયા છે, જ્યારે બાકીના ૧૨ ખલાસીઓને ઓમાન નેવી તેમજ નજીકથી પસાર થઈ રહેલા બે ભારતીય જહાજો દ્વારા સંયુક્ત રીતે બચાવવામાં આવ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, સલાયાનું આ જહાજ ‘મહેબૂબ એ બુખારી’ ૩ જુલાઈએ દુબઈથી જનરલ કાર્ગાે ભરીને જીબુટી જવા રવાના થયું હતું. જહાજ પર ૧૪ ખલાસીઓ હતા. ઓમાનના દરિયામાં પહોંચતા ખરાબ હવામાન અને બંને મુખ્ય એન્જિન ફેઈલ થવાને કારણે જહાજ ડૂબવા લાગ્યું હતું.
તેને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા, જેથી ટંડેલે તમામ ક્ મેમ્બરોને જીવ બચાવવા દરિયામાં કૂદવાનો આદેશ આપ્યો હતો.અતિશય ખરાબ હવામાન તથા દરિયામાં કરંટને લીધે જહાજના બે ખલાસીઓના મૃત્યુ થયા હતા. બાકીના ૧૨ ખલાસીઓને ઓમાન નેવી તેમજ નજીકથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો ‘અલ હાજી હસન’ અને ‘સફિના અલ નૂરે ઇલાહી’ દ્વારા સંયુક્ત રીતે બચાવવામાં આવ્યા હતા. બે ખલાસીના મૃતદેહો અને બચાવવામાં આવેલા ૧૨ ખલાસીઓને ઓમાનના દુકમ નજીક ફિશિંગ જેટી પર લાવવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં સલાયાના ખલાસીઓ યાસીન નુરમામદ ગંઢાર અને ઇમરાન ઇશાક ભાયાના મૃત્યુ નીપજતા સલાયા ગામ તથા માછીમાર પરિવારોમાં શોક વ્યાપ્યો છે.આ અંગે સલાયાના આદમ ભાયા (સેક્રેટરી, ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિયેશન) દ્વારા સંબંધિત તંત્ર અને ફોરેન ડિપાર્ટમેન્ટને ઈ-મેઈલ દ્વારા મૃતદેહો અને જીવિત ખલાસીઓને પરત લાવવા તેમજ જરૂરી કાગળો પૂરા કરવા અને તમામ સહાય પૂરી પાડવા રજૂઆત કરવામાં આવી છે.SS1
