અમદાવાદ રેલવે સ્ટેશનના દક્ષિણ એલિવેટેડ રોડ પ્રોજેક્ટનું મંડળ રેલ પ્રબંધકે કર્યું નિરીક્ષણ
સારંગપુર આરઓબી સાથે કનેક્ટિવિટીના કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી, ગુણવત્તા અને સમયબદ્ધ અમલીકરણ પર આપ્યો ભાર
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશે આજે તા. 12.07.2026ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યો અંતર્ગત નિર્માણાધીન દક્ષિણ એલિવેટેડ રોડ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ખાસ કરીને સારંગપુર રોડ ઓવર બ્રિજ (આરઓબી) સાથેની પ્રસ્તાવિત કનેક્ટિવિટી માટે ચાલી રહેલા નિર્માણ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી તથા અધિકારીઓ અને કાર્યદાયી એજન્સીને ગુણવત્તા જાળવીને સમયબદ્ધ રીતે કાર્ય પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી.
નિરીક્ષણ દરમિયાન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરતા અધિકારીઓએ જણાવ્યું કે દક્ષિણ એલિવેટેડ રોડ અંતર્ગત પિયર નંબર 42 થી 51 સુધી કુલ 10 પોર્ટલ પિયર પર કામ કરવામાં આવી રહ્યું છે. તેમાં પિયર નંબર 42, 43, 47, 48, 49, 50 અને 51ના જમણા ભાગ (રાઇટ લેગ)નું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. હાલમાં પિયર નંબર 44ના જમણા ભાગ માટે પાઇલિંગનું કામ પ્રગતિ હેઠળ છે.
આ જ રીતે, દક્ષિણ ડ્રોપ–ઓફ વિસ્તારમાં પ્રસ્તાવિત કુલ 17 પિયરોમાંથી 4 પિયરોનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે તથા બાકીનું કાર્ય નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ઝડપથી આગળ વધી રહ્યું છે.
ડીઆરએમ શ્રી વેદ પ્રકાશે જણાવ્યું કે અમદાવાદ સ્ટેશન પુનર્વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત દક્ષિણ એલિવેટેડ રોડ અને સારંગપુર આરઓબીની કનેક્ટિવિટી મુસાફરોની અવરજવરને વધુ સરળ, સુરક્ષિત અને સુવિધાજનક બનાવશે. તેમણે પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓને નિર્માણ કાર્યમાં ઉચ્ચ ગુણવત્તા, સુરક્ષા ધોરણો તથા નિર્ધારિત સમયમર્યાદાનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યા.
પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ આ મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં ઉત્તમ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
