Western Times News

Gujarati News

આવશ્યક ચીજ વસ્તુઓ ના પરિવહન માટે દાહોદ જીલ્લા કલેક્ટરે જિલ્લાના ટ્રાન્સપોર્ટેશનના વેપારીઓ સાથે બેઠક યોજી જરુરી સુચના આપી

કોરોના વાયરસ સંક્રમણને રોકવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં આવશ્યક વસ્તુઓના પુરવઠો ચાલુ રહે તે માટે જિલ્લાના ટ્રાન્સપોર્ટેશનના વેપારીઓ સાથે કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી. કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, ફક્ત આવશ્યક વસ્તુઓની જ હેરફેર સરળતાથી થઇ શકે તે માટે વેપારીઓને પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે.

ઉક્ત સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, વેપારીઓએ આવશ્યક વસ્તુઓમાં બિનજરૂરી ભાવવધારો કરવો નહી. આવશ્યક ચીજવસ્તુઓનું પરીવહન સરળતાથી થાય તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. વેપારીઓએ પણ માલ જયાથી લાવવામાં આવે અને ઉતારવામાં આવે તે સમગ્ર કામગીરી સરકાર દ્વારા આપવામાં આવેલા સૂચનો અને સ્વચ્છતાના ધોરણો જાળવીને જ કરવાની રહેશે. ડ્રાઇવર સહિત અન્ય કર્મચારીઓએ માસ્ક પહેરવાનો રહેશે. સાથે જે તે વાહનનું સંપૂર્ણ સેનેટાઇઝેશન પણ કરવાનું રહેશે. આવશ્યક વસ્તુઓની હેરફેર કરતા વાહનો માટે જિલ્લાના પેટ્રોલપંપો પણ ચાલુ રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે બેઠકમાં જણાવ્યું કે, આવશ્યક ચીજવસ્તુઓના પરીવહનમાં પોલીસ દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. કોઇ વેપારીએ ચિંતા કરવાની જરૂર નથી. આ માટે પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. જે મામલતદાર કચેરીમાંથી મેળવી શકાશે. આ પાસ બતાવ્યેથી વાહનો સરળતાથી અવરજવર કરી શકશે. આ માટે જરૂર જણાય તો હેલ્પલાઇન નંબરની પણ વ્યવસ્થા કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.