Western Times News

Gujarati News

ભારતીય રેલવેએ 20.5 લાખથી વધુ લોકોને મફત ભોજનનું વિતરણ કર્યું

કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં અંદાજે 300 સ્થળે ભોજનનું વિતરણ કરવામાં આવ્યું
હજારો લોકોને દરરોજ ગરમ રાંધેલું ભોજન આપવા અને તેમની આશા પૂરી કરવા માટે ભારતીય રેલવે સંગઠનો એકજૂથ થયા

નવી દિલ્હી, કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન ભારતીય રેલવેએ જરૂરિયાતમંદ લોકોને મફત રાંધેલા ભોજનના વિતરણનો આંકડો આજે બે મિલિયનથી પણ વટાવીને અત્યાર સુધીમાં 20.5 લાખથી વધુ તૈયાર ભોજનનું વિતરણ કર્યું છે.

વૈશ્વિક મહામારીના કારણે ઉભી થયેલી અભૂતપૂર્વ સ્થિતિમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભુખના કારણે નિ:સહાય સ્થિતિમાં મૂકાઇ ગયા છે. આ મહામારી અને લૉકડાઉનના કારણે સૌથી વધુ અસર ઘરથી દૂર અટવાયેલા લોકો, દૈનિક રોજગારી કમાતા શ્રમિકો, વિસ્થાપિતો, બાળકો, કૂલી, ઘરવિહોણા લોકો અને ગરીબો અને સંખ્યાબંધ વિચરતા સમુદાયોને થઇ છે.

સંખ્યાબંધ રેલવે સંગઠનોમાં સંકળાયેલા ભારતીય રેલવેના સ્ટાફે કોવિડ-19ના કારણે લાગુ લૉકડાઉન પછી 28 માર્ચ 2020થી જરૂરિયાતમંદ લોકોને રાંધેલું ભોજન આપવા માટે અવિરત પ્રયાસો આદર્યા છે. રેલવે તંત્ર દ્વારા IRCTCના બેઝ રસોડા, RPF સંસાધનો અને NGOના યોગદાન મારફતે બપોરના ભોજન માટે કાગળની ડીશો સાથે જથ્થાબંધ રાંધેલું ભોજન અને સાંજના ભોજન માટે મોટી સંખ્યામાં તૈયાર ફુડ પેકેટ પૂરા પાડવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને આ ભોજનનું વિતરણ કરતી વખતે, સામાજિક અંતર અને સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. ભોજનના વિતરણની કામગીરી RPF, GRP, ઝોનના વ્યાપારી વિભાગો, રાજ્ય સરકારો, જિલ્લા વહીવટીતંત્રો અને NGOની મદદથી કરવામાં આવે છે અને રેલવે સ્ટેશન પરિસરની ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવે છે.

નવી દિલ્હી, બેંગલોર, હુબલી, મુંબઇ સેન્ટ્રલ, અમદાવાદ, ભુસાવળ, હાવરા, પટણા, ગયા, રાંચી, કટીહાર, દીનદયાળ ઉપાધ્યાય નગર, બાલાસોર, વિજયવાડા, ખુરદા, કટપડી, તિરુચિરાપલ્લી, ધનબાદ, ગુવાહાટી, સમસ્તીપૂર, પ્રયાગરાજ, ઇટારસી, વિશાખાપટ્ટનમ, ચેંગલપટુ, પૂણે, હાજીપુર, રાયપુર અને ટાટાનગર, વિવિધ ઝોન જેમ કે ઉત્તરીય, પશ્ચિમી, પૂર્વીય, દક્ષિણ અને દક્ષિણ મધ્યમાં ફેલાયેલા IRCTC બેઝ રસોડાના સક્રીય સહકાર સાથે આજે 20 એપ્રિલ 2020ના રોજ તૈયાર ભોજનના વિતરણનો આંકડો 20.2 લાખથી પણ વધુ થઇ ગયો છે.

આમાંથી, અંદાજે 11.6 લાખ તૈયાર ભોજન IRCTC દ્વારા, 3.6 લાખ ભોજન RPF દ્વારા પોતાના સંસાધનોમાંથી, અંદાજે 1.5 લાખ ભોજન રેલવેના વ્યાપારી અને અન્ય વિભાગો દ્વારા અને અંદાજે 3.8 લાખ તૈયાર ભોજન રેલવે સંગઠનો સાથે કામ કરી રહેલા NGOના યોગદાન દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે.

IRCTC, રેલવેના અન્ય વિભાગો, NGO અને પોતાના રસોડા દ્વારા તૈયાર કરવામાં આવેલા તૈયાર ભોજનના વિતરણમાં રેલવે સુરક્ષાદળે ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી છે. 28.03.2020ના રોજ 74 સ્થળોએ 5419 જરૂરિયાતમંદ લોકોને ભોજનના વિતરણ સાથે શરૂઆત કરીને તેમાં દરરોજ સંખ્યામાં વધારો થતો ગયો અને વર્તમાન સમયમાં દેશમાં અંદાજે 300 સ્થળો પર RPF દ્વારા સરેરાશ 50000 લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવે છે. લોકોને શક્ય હોય એટલી વધુ મદદ કરવાના આશય સાથે, ભારતીય રેલવે સંગઠનો હજારો લોકોને દરરોજ રાંધેલું ભોજન પૂરું પાડવા માટે એકજૂથ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.