Western Times News

Gujarati News

એક જ દિવસમાં રાજ્યભરમાં ૨૩,૦૬૯ મુસાફરોએ એસ.ટી. પરિવહનનો લાભ લીધો

રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સામાન્ય લોકો માટે એસ.ટી. બસ સેવા પૂર્વવત

  • એસ.ટી. દ્વારા ગઈકાલે પ્રથમ દિવસે તા. ૨૦મી મેના રોજ ૬,૫૪૫ લોકલ અને ૪૬ એક્સપ્રેસ ટ્રીપનું સંચાલન
  • વિવિધ પાંચ ઝોનમાં સવારના ૮.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી સામાન્ય જનતા માટે બસ સેવા ઉપલબ્ધ
  • મુસાફરોનું તાપમાન, સેનિટાઈઝર, માસ્ક અને સામાજિક અંતરના સંપૂર્ણ પાલન સાથે રાજ્યમાં બસ પરિવહન સેવાનો પ્રારંભ

રાજ્યમાં કોરોના મહામારી સામે જુસ્સાભેર લડીને આર્થિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક જીવન પૂર્વવત કરવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તા. ૧૯મી મેથી લૉકડાઉન-૪માં ચોક્કસ નિયમો સાથે વિવિધ છૂટછાટો આપી છે.

જેના ભાગરૂપે રાજ્યભરમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ગઈકાલ તા. ૨૦મી મે થી સવારના ૮.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક દરમિયાન સામાન્ય નાગરિકોને પરિવહન સેવા પૂરી પાડવાનો એસ.ટી નિગમ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે.

પ્રથમ દિવસે એટલે કે, તા. ૨૦મી મેના રોજ એક જ દિવસમાં રાજ્યભરમાંથી ૨૩,૦૬૯ જેટલાં મુસાફરોએ ફરજીયાત માસ્ક પહેરવા સહિત સામાજિક અંતર જાળવીને આ પરિવહન સેવાનો લાભ લીધો છે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની જનતા અને સમગ્ર એસ.ટી. ટીમને અભિનંદન આપ્યા છે તેમ મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આપતાં જણાવ્યું હતુ.

તેમણે કહ્યું કે, ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા અંદાજે બે માસ બાદ સામાન્ય મુસાફરો માટે પુન: શરૂ કરાયેલ પરિવહન સેવામાં પ્રથમ દિવસે તા. ૨૦મી મેના રોજ ૪૬ એક્સપ્રેસ અને ૬,૫૪૫ લોકલ ટ્રીપ એમ કુલ ૬,૬૦૦ જેટલી ટ્રીપના માધ્યમથી સવારે ૮ થી સાંજે ૬.૦૦ કલાક સુધીમાં ૨૩,૦૬૯ લોકોએ પરિવહન સેવાનો લાભ લીધો છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાત એસ.ટી. દ્વારા લૉકડાઉન દરમિયાન પણ રોજે-રોજ કોઈને કોઈ ખાસ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. શ્રમિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની કામગીરી હોય અથવા ખાસ રાહત સંબંધિત કોઈ કામગીરી હોઈ કે કોઈ સ્પેશ્યલ ઓપરેશન હોય, એસ.ટી.ના પૈડા અટક્યા નથી. એસ.ટી. સતત કામ કરી રહી છે જેના માટે સમગ્ર એસ.ટી. નિગમની ટીમ અભિનંદનને પાત્ર છે તેમ તેમણે ઉમેર્યું છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, પ્રવર્તમાન સંજોગોમાં મુસાફરો ઈ-ટીકીટ અથવા મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઈચ્છનીય છે. તેમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ન પડે તે માટે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તે રીતે બસ સ્ટેન્ડ પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કંડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ આપવામાં આવે છે.

મુસાફરે બસ ઉપડતા પહેલાં ઓછામાં ઓછા ૩૦ મિનીટ પહેલા બસ સ્ટેન્ડ પર પહોંચવાનું રહેશે. બસની ક્ષમતાના ૬૦ ટકા મુસાફરો સાથે સંચાલન કરવામાં આવે છે. દરેક બસ ટ્રીપ પૂર્ણ થયેથી સેનેટાઈઝ કરીને બીજી ટ્રીપમાં ઓપરેટ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ કહ્યું કે, માસ્ક પહેરેલ હોય તેઓને જ બસ સ્ટેન્ડ કે ડેપોમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મુસાફરોના સ્વાસ્થ્ય માટે બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે જ ટેમ્પરેચર ચેક કરીને કોરોનાના લક્ષણ વિનાના મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવે છે. સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બસમાં બેસતા તમામ મુસાફરોને સેનેટાઇઝરથી હાથ સાફ કરી બસની અંદર પ્રવેશ તેમજ બસમાં મુસાફરોને બેસતા અને ઉતરતા સમયે પણ સોશિયલ ડીસન્ટસીંગનું પાલન કરવામાં આવે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, હાલના તબક્કે સમગ્ર અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં એસ.ટી. નિગમના સામાન્ય સંચાલનના ભાગરૂપે બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જયારે ગાંધીનગર શહેરથી અમદાવાદ શહેર વચ્ચે તેમજ આંતરરાજ્ય સંચાલન સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યુ છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ કહ્યું હતુ કે રાજયના પાંચ ઝોનમાં એસ.ટી. નિગમ દ્વારા તબક્કાવાર કરવામાં આવ્યું છે. જેમાં ઉત્તર ઝોનમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મધ્ય ઝોનમાં ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, દાહોદ, આંણદ, છોટાઉદેપુર, દક્ષિણ ઝોનમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ, મોરબી, જુનાગઢ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છ ઝોનમાં ભુજથી ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય શહેરોને બસ દ્વારા જોડીને સંચાલન કરવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.