Western Times News

Gujarati News

૪૬ વર્ષે પ્રથમવાર જન્મદિવસની કેક કાપી અને એ પણ સિવિલ હોસ્પિટલમાં …!!

કોરોનામુક્ત બનેલા તરૂલતાબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલની‘પ્લીઝન્ટ સરપ્રાઈઝ’

‘સિવિલ હોસ્પિટલે મને નવજીવન બક્ષ્યુ’ -તરૂલતાબેન ભીલ

પોતાના જન્મદિવસે જ દર્દી સાજો થઇ હોસ્પિટલમાંથી રજા મેળવે અને વળી જન્મદિવસની ઉજવણી કર્યા બાદ વિદાય લે તો કેવું !! સોમવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તરૂલતાબેન ભીલ સાથે આવું જ બન્યું.‘મારા ૪૬માં જન્મદિવસે મને નવજીવન પ્રાપ્ત થયુ છે. સિવિલ હોસ્પિટલમાં૨૪ દિવસની શ્રેષ્ઠ સારવાર મળવાથી આજે હું સાજી થઇ ઘરે જઇ રહી છું.’ આ શબ્દો છે અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા તરૂલતાબેન ભીલના…

તરૂલતાબેનનાજન્મદિવસેકેક લાવીને ડૉક્ટર્સ, નર્સ અને અન્ય સ્ટાફ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ૪૬ વર્ષની જિંદગીમાં પ્રથમ વખત આજે જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરી જે તેઓના સમગ્રજીવનકાળનો યાદગાર પ્રસંગ બની જવા પામ્યો છે.

તરૂલતાબેન કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં દર્દીની ખુબ જ સારસંભાળ રાખવામાં આવે છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા પણ ખુબ જ સરસ રાખવામાં આવે છે તેમજ અહીંના ડૉક્ટર્સ, નર્સ અને અન્ય સફાઈકર્મીએ દિલથી અમારી કાળજી રાખે છે તેમ તરૂલતાબેન ઉમેરે છે.

સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સની મહેનત અને ભગવાનની કૃપાના લીધે મને આજે પુનઃ જન્મ મળ્યો છે. હું ક્યારેય અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સ સહિતના સ્ટાફનું ઋણ ચુકવી શકીશ નહિ. હું હ્યદયપૂર્વક ડૉક્ટર્સ, સ્ટાફ મિત્રો, સફાઈ કર્મીની કર્તવ્યનિષ્ઠાને બિરદાવું છું તેમ તેમણે લાગણીસભર શબ્દોમાં જણાવ્યું હતું.

સિવિલ હોસ્પિટલની શ્રેષ્ઠ સારવાર, સવારે નાસ્તો, બપોર અને રાત્રે જમવાનું, જ્યુસની વ્યવસ્થા, રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય તે માટે દવાઓઅનેડોક્ટર્સ-સ્ટાફમના હકારાત્મક અભિગમને પણ તેઓએ બીરદાવ્યો હતો.

કોવિડ-૧૯ સિવિલના નોડલ ઓફિસરશ્રી ડૉ.કાર્તિકેય પરમાર તરૂલતાબેનના કેસની વિગત આપતા જણાવે છે કે તરૂલતાબેનને તાવ, ઉધરસ અને શ્વાસ લેવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારબાદ ગંભીર લક્ષણો જણાઇ આવતા તેમને આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમના ફેફસામાં સોજાનું પ્રમાણ એટલે કે આઇ.એલ.૬ નુ પ્રમાણ એકાએક વધી જતા તેમને ટોસિલીઝુમેબ ઇન્જેકશન આપવાની જરૂરિયાત ઉભી થઇ હતી. જે આપ્યા બાદ તરૂલતાબેનની સ્વાસ્થયની સ્થિતિ સામાન્ય બની હતી. છેલ્લા ૭-૮ દિવસ કોઇપણ લક્ષણો ન જણાતા તેમને રજા આપવામાં આવી છે. આમ સિવિલ હોસ્પિટલે દર્દીઓની શ્રેષ્ઠ સારસંભાળ રાખવાની સાથે- સાથે તેમના મહત્વપૂર્ણ દિવસની પણ નોંધ લઇ તેની ઉજવણીમાં સહભાગી બની સંવેદનશીલતા દર્શાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.