Western Times News

Gujarati News

‘…અને જ્યારે સિવીલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પર જ ઘા થયો…’

૧૨ વર્ષ થઈ ગયા… ઘટનાના ઘા ઉંડા જરૂર હતા…પણ સેવા- સુશ્રુષા-સંવેદનાને પગલે રૂઝ આવી…૨૦૦૧માં ભૂકંપ, ૨૦૦૮માં બ્લાસ્ટ અને ૨૦૨૦માં કોરોના અમદાવાદ સિવિલ હોસ્પિટલની સેવા હંમેશા અવ્વલ રહી છે : ૧૨ વર્ષમાં ૯૫ લાખ દર્દીઓએ લાભ લીધો

૨૬ જુલાઈ’ ૨૦૦૮… સિવીલ હોસ્પિટલમાં પણ બોંબ બ્લાસ્ટ થયો હતો.એ ગોઝારો દિવસકદાચ સૌ ભુલવા માંગે છે, પરંતુ ભુલી શકાય તેમ નથી..બેશક આપત્તિને ભુલીને કે બાજુમાં રાખીને ઝડપથી બેઠા થવાનો ‘ગુજરાત’નો સ્વભાવ છે.ગુજરાતના આ ‘સ્વભાવ’નો ‘પ્રભાવ’ સિવીલ હોસ્પિટલમાં પણ દેખાય છે.ગુજરાત કે દેશની જ નહી એશીયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સિવીલ હોસ્પિટલમાં સરેરાશ રોજના હજારો દર્દીઓ આવે છે.

કદાચ આટલા બધા દર્દીઓની સેવા સુશ્રુષાએજ સિવીલને જીવંત રાખી છે. વર્ષ ૨૦૦૮ થી ૨૦૨૦ દરમ્યાનના ૧૨ વર્ષમાં સિવીલ હોસ્પિટલમાં કુલ ૯૫,૬૦,૮૨૫ દર્દીઓએ લાભ લીધો છે. જેમાં OPD દર્દી તરીકે ૮૩,૭૩,૫૪૬ તથા IND તરીકે ૧૧,૮૭,૨૭૯ દર્દીઓનો સમાવેશ થાય છે. કૂદરતી અને કમાનવસર્જિત એમ તમામ આપત્તિઓમાં સિવીલ હોસ્પિટલ અડીખમ રહી છે.અને સેવા-સુશ્રુષા સતત વહી છે.

૪,૩૮૦ દિવસ થઈ ગયાએ ઘટનાને. બોંબ બ્લાસ્ટના એ ગોઝારા દિવસ પુરતુ કદાચ આખી હોસ્પિટલ હતપ્રભ થઈ ગઈ હતી.પણ બીજી જ મીનીટથી તંત્ર દોડતુ થઈ ગયુ હતુ.સિવીલ હોસ્પિટલમાં આજે પણ ફરજ બજાવતા એ ઘટનાના સાક્ષી મુકેશભાઈ પટણી કહે છે કે, ‘બોંબ ધડાકાને પગલે હોસ્પિટલનો તમામ સ્ટાફ જે સ્થિતિમાં જ્યાં હતો ત્યાંથી માત્ર ૧૫ મિનિટમાંજ  ફરજ પર દોડી આવ્યો હતો.

એક-એક બેડ પર ૧૦-૧૫ ડોકટરો સેવા માટે પ્રયત્નશીલ હતા.દર્દીઓ પ્રત્યેની સિવીલ હોસ્પિટલની આ સેવા આજે પણ એટલી જ ત્વરાથી-સંવેદનાથી ચાલુ છે.તેમાં ક્યારેય ઓટ નથી આવી.’ એમ તેઓ કહે છે.

આ વિસ્તારના એક સમાજસેવક દિનેશભાઈ દૂધાત કહે છે કે, ‘ આખા અમદાવાદમાં સીરીયલ બ્લાસ્ટ થયા હતા. હું સિવીલ હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરવા આવ્યો હતો.બાપુનગરમાં બ્લાસ્ટ થયા હતા. ઈજાગ્રસ્તોની સંખ્યા વધી હતી. હું ધનવંતરી હોસ્પિટલની એમ્બ્યુલન્સ લઈ દર્દીઓને સિવીલ હોસ્પિટલ  લાવ્યો હતો. સિવીલના ટ્રોમા સેન્ટર પહોંચ્યો.અમે દર્દીઓને એમ્બ્યુલન્સમાંથી ઉતારી રહ્યા હતાઅને ત્યાં જ બોંબ ધડાકાનો અવાજ આવ્યો.

અસંખ્ય લોકો ઘાયલ થયા હતા. કોઈના અંગો જુદા પડી ગયા હતાતો કોઈના પરિવાર એ દ્રશ્યો ઓછામાં ઓછા એક વર્ષ સુધી મારા મન-મગજમાંથી ખસતા જ નહતા.આજે પણ એ દ્રશ્યોની યાદ આવતા કંપારી છુટી જાય છે. સિવીલ હોસ્પિટલમાં દર્દીઓ પ્રત્યેની સેવા સુશ્રુષાએ જ અમારા ઘા પર રૂઝ લાવી દીધી છે.મને પણ એ વખતે ઈજા થઈ હતીપણ દર્દીઓની સેવામાં મારી ઈજા પ્રત્યે મારુ ધ્યાન જ નહતુ ગયુ.” એમ તેઓ ઉમેરે છે.

હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડો. પ્રભાકર કહે છે કે, ‘ ટ્રોમા સેન્ટર એટલે સિવીલનું હાર્ટ (હ્રદય) છે તેના પર જે પાશવી ઘા થયો હતોએ અમે ના ભુલી શકીએ,જો કે હ્રદયના એક ખુણે એ ઘટનાના તાંણાવાણાને દબાવીને સિવીલ હોસ્પિટલે દર્દીઓ પ્રત્યેની સેવા સુશ્રુષાને વધુ ત્વરિત અને સંવેદનશીલ બનાવી છે. એ માનવસર્જિત આપત્તિ હતી અને અત્યારે કોરોના સ્વરૂપે કૂદરતી આપત્તિ આવી છે તો પણ હોસ્પિટલના એક-એક તબીબ- નર્સ-પેરા મિડીકલ સ્ટાફ જાણે પોતાના સ્વજન હોય તેવા ભાવથી દર્દીઓની સેવા કરી રહ્યા છે.અમારી સેવા-સુશ્રુષા કે સંવેદનામાં ક્યારેય ઓટ આવીનથી” એમ તેઓ ઉમેરે છે.

સિવીલના હાલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.જે.પી.મોદી કહે છે કે, ‘ એક ડોક્ટર માટે દર્દી કોણ છે..? એ મહત્વનું નથી હોતુ.દર્દીને શું દર્દ છે એ જ એના માટે મહત્વનું હોય છે. અને દર્દીનું દર્દ ઓછુ કરવા જે કરવું પડે એ જ એની પવિત્ર ફરજ હોય છે. જો કે બેશક આજથી ૧૨ વર્ષ પહેલા બનેલી ઘટના કંઈ નાનીસુની તો નહતી જ.

એ ઘટના સમયે મેં પણ મારો પ્રિય વિદ્યાર્થિ ડૉ. પ્રેરક અને તેની ગર્ભવતી પત્ની ગુમાવ્યા છે. એનો વસવસો કાયમ રહેશે જ.સામાન્ય રીતે આવી ઘટનાઓ બહાર બનતી રહેતી હોય છે પણ હોસ્પિટલ પર આતંકી હુમલો કદાચ સૌ પ્રથમ વખત થયો હતો.

ઘાયલોની સેવા કરનારાઓને જ ઘાયલ કરવાની એ પેરવી હતી.કદાચ અમારામાં પણ એ વખતે ધૃણા આવી હશે પણ અમારી સંવેદના એ ધૃણા પર હાવી થઈને હજી અકબંધ ટકી રહી છે.” એમ તેઓ કહે છે… ડૉ. મોદી કહે છે કે ૨૦૦૧માં જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું ઓર્થોપેડિક તબીબ તરીકે સિવિલ હોસ્પિટલના પ્રતિનિધિ બનીને ચાર્ટર્ડ-પ્લેનથી સૌપ્રથમ કચ્છ પહોંચ્યો હતો. કચ્છમાં કરેલી માનવસેવાના દિવસો આજે પણ યાદ આવે છે.

આપત્તિ કૂદરતી હોય કે માનવસર્જિત હોય. અપાર કરૂણાનો સંવેદના સાથે સેવા ધોધ આજે પણ સિવીલ હોસ્પિટલમાં વહે છે. સો સો સલામ છે… એ સિવીલ હોસ્પિટલને… ( આલેખન-હિમાંશુ ઉપાધ્યાય)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.