ઓગણજ નજીક જૈન દેરાસરમાં લુટારૂ ત્રાટક્યા : સિક્યુરિટીને માર મારી લુંટ કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/advt-western-times-news.jpg)
ભગવાનની મૂર્તિ, મુગટ અને રોકડની લુંટ: અન્ય સિક્યુરિટી તથા રસોડાનો સ્ટાફ ઉંઘતો રહ્યો : થોડા દિવસ અગાઉ અડાલજના દેરાસરમાં ચોરી થઈ હતી
અમદાવાદ: શહેરનાં લપકામણ રોડ નજીક આવેલાં એક જૈન દેરાસરમાં ગુરૂવારે મોડી રાત્રે સાત લુંટારૂઓની ટોળકી ત્રાટકી હતી. અને સિક્યુરિટી ગાર્ડને બાંધી ગડદાપાટુનો માર મારી દેરાસરમાં લુંટ ચલાવીહ તી. આ ઘટના બાદ સિક્યુરિટી ગાર્ડે અન્ય સેવકોને પણ જગાડ્યા હતા. ઘટનાની જાણ થતાં સોલા પોલીસ પણ તુરંત પહોંચી ગઈ હતી અને તપાસનો દોર શરૂ કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે લપકામણ રોડ ઉપર આવેલા ઓગણજ રોડ ઉપર આવેલાં ઓગણજ ગામમાં પંચ જીનેશ્વર કેવલધામ (જૈન દેરાસર) આવેલો છે. જેમાં ત્રણ સિક્યુરિટી ગાર્ડ નોકરી કરે છે. ઉપરાંત રસોડાનો સ્ટાફ પણ રહે છે. ગુરૂવારે મોડી રાત્રે નાગરભાઈ મંગળભાઈ પ્રજાપતિ, (સુરમ્ય ફ્લાવર ફ્લેટ, ઓગણન ગામ) સિક્યુરિટી ગાર્ડ તરીકે હાજર હતા.
જ્યારે બાકીનાં બન્ને સુતા હતા. રાત્રે એક વાગતાં દેરાસરની પ્રથા અનુસાર ૬પ વર્ષીય નાગરભાઈએ દેરાસરનો ઘંટ વગાડતાં જ ઓફીસની પાછળની તરફથી સાત જેટલાં લુંટારૂઓ ત્રાટક્યા હતા અને અંધારામાં તેમને પકડી મોં પર રૂમાલ બાંધી મોં દબાવીને ગડદાપાટુનો માર માર્યો હતો.બાદમાંં કેટલાક લુંટારૂ દેરાસરમાં તથા ઓફિસમાં ઘુસ્યા હતા. અને દરવાજા તોડી પંચધાતુની મૂર્તિ, મુગટ, દાનપેટીની રોકડ, તિજાેરીમાંથી પણ રોકડ રૂપિયા સહિત કુલ ૬પ હજારની મતાની લુંટ કરી નાસી છુટ્યા હતા. આ ઘટના બાદ નાગરભાઈએ જાતે રૂમાલ ખોલીને અન્ય સિક્યુરિટી ગાર્ડ તથા ભોજનાલયના સ્ટાફને જગાડીને લુટની વાત કરતાં તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. અને દેરાસર તથા ઓફિસમાં તપાસ કરી હતી.
આ ઘટના અંગે ટ્રસ્ટીઓને તથા પોલીસને જાણ કરવામાં આવતા તમામ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લુંટની ઘટનાની જાણ થતાં ગામમાં ચકચાર મચી હતી. આ અંગે સોલા પોલીસે દેરાસરનાં સીસીટીવી કેમેરાનાં ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને લુંટારૂઓને ઝડપી લેવા બાતમીદારોને પણ સક્રીય કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ અડાલજ પોલીસની હદમા પણ કેટલાંક લુટારૂઓએ દેરાસરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. અને ગણતરીના દિવસોમાં જ બીજા દેરાસરમાં પણ લુંટની ઘટના બનતાં ઉચ્ચ અધિકારીઓ પણ ચાંકી ઉઠ્યા હતા.