Western Times News

Gujarati News

ગુજરાતમાં જાગૃતિ લાવીને કોરોના સામે જંગ જીતવાની સંકલ્પનાને વધુ મજબુત બનાવશે

કોવિડ-૧૯ વિજય રથ  ઃ સરકારના સઘન પ્રયાસોથી ગુજરાતમાં કોરોના રિકવરી રેટ ૮૨ ટકાથી વધુ  : CM

કોવિડ-૧૯ વિજય રથ રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૯૦ જેટલા તાલુકામાં ભ્રમણ કરી લોકોને કોરાના પ્રત્યે જાગૃત કરીને પ્રજા કલ્યાણલક્ષી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરાશે

આજથી રાજ્યના પાંચ જિલ્લામાં પ્રસ્થાન કરાવેલ કોવિડ-૧૯ વિજય રથ ગુજરાતમાં કોરોના મહામારી સામે જાગૃતિ લાવીને રાજ્યમાં સૌનો સાથ સૌના સહકારથી કોરોના સામે જંગ જીતવાની રાજ્ય સરકારની સંકલ્પનાને વધુ મજબુત બનાવશે, આપણને વિજય રથ કોરોના સામે વિજય અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી જણાવ્યું હતું.  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આજે જૂનાગઢ, ભુજ-કચ્છ, બનાસકાંઠા, સુરત અને અમદાવાદ એમ પાંચ જિલ્લામાં કોવિડ-૧૯ વિજય રથનું ગાંધીનગરથી ઇ-ફ્લેગથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કોવિડ-૧૯ વિજય રથના આયોજન બદલ આયોજકોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આપણા સૌના સંકલિત પ્રયાસોથી ગુજરાતમાં કોરોનાને હરાવવા ચોક્કસ સફળતા મળશે. રાજ્ય સરકારના સઘન પ્રયાસો અને લોકોના સહયોગથી ગુજરાતમાં કોરોના રિકવરી રેટ ૮૨ ટકા સુધી પહોંચ્યો છે જ્યારે મૃત્યુ દર ૭ ટકાથી ઘટાડીને ૨.૯ ટકા સુધી લાવી શક્યા છીએ. દેશના સરેરાશ ૮થી ૯ ટકા પોઝિટિવ રેટ સામે ગુજરાતમાં ૩.૫ થી ૪ છે. ગુજરાતમાં ધન્વંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ હેલ્પલાઇન અને હવે કોવિડ-૧૯ વિજય રથના માધ્યમથી આપણે કોરોના સામેનું યુદ્ધ જીતવાની દિશામાં આગળ વધી રહ્યા છે તેમાં આપણો ચોક્કસ વિજય થશે તેવી મુખ્યમંત્રીશ્રીએ શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કોરોના સામેની લડાઇમાં ગુજરાત રોલ મોડલ સાબિત થયું છે. ગુજરાતમાં કોરોના સામે જંગ જીતવા ધન્વંતરી રથ, ૧૦૪ હેલ્પ લાઇન જેવી વ્યવસ્થાઓની  દ્વારા સરાહના કરવામાં આવી છે. આ ઉપરાંત સુપ્રીમકોર્ટ દ્વારા પણ ગુજરાતમાં તબીબો દ્વારા કોરોનાના દર્દીઓને અપાતી સેવાની ખાસ નોંધ લેવામાં આવી છે. તાજેતરમાં પ્રતિષ્ઠિત સંસ્થા ૈંૈંસ્-અમદાવાદ દ્વારા પણ ગુજરાતમાં કોરોના સામેના રાજ્ય સરકારના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારીને નિયંત્રણમાં લેવા
સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.  ગુજરાત યુનિવર્સિટી અને સંયુક્ત પ્રયાસોથી આ વિજય રથના પ્રારંભ બદલ મુખ્યમંત્રીશ્રીએ સૌ આયોજકોને અભિનંદન આપીને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી ધીરજ કાકડીયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિજય રથની માહિતી આપતાં જણાવ્યું હતું કે, “સાવચેતીને સંગ જીતીશું જંગ” તેમજ “સરકારને સંગ જીતીશું જંગ”ના ધ્યેય મંત્ર સાથે આ કોવિડ-૧૯ વિજય રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી અને સંકલિત પ્રયાસોથી સંચાલિત આ કોવિડ-૧૯ વિજય રથ રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૯૦ જેટલા તાલુકામાં ૪૪ દિવસ ભ્રમણ કરી લોકોને કોરાના પ્રત્યે જાગૃત કરશે તેમજ કેન્દ્ર સરકારની પ્રજા કલ્યાણલક્ષી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરશે. આ રથ પ્રતિદિન ૬૦ કી.મી. જેટલું અંતર કાપશે જેમાં રાજ્યભરના ૩૫૦થી વધુ વિવિધ કલાકારો પરંપરાગત માધ્યમોથી કોરોના સામે સાવચેતીના પગલાં અંગે સંદેશો આપશે. આ ઉપરાંત જે લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે તેવા કોરોના વિનર્સનું પણ સન્માન કરવામાં આવશે.

ગુજરાતના શ્રી લક્ષ્મી ભવાનીએ ગુજરાતમાં કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે કરેલી કામગીરીની સરાહના કરતાં કહ્યું હતું કે, કોવિડ-૧૯ વિજય રથના માધ્યમથી લોકોમાં જાગૃતિ આવશે અને કોરોના સંક્રમણને અટકાવવાના સંયુક્ત પ્રયાસોને વધુ બળ મળશે. આ રથના માધ્યમથી માસ્ક, હાથ સેનેટાઇઝ કરવા, ખોટી માહિતીથી દૂર રહેવા જેવા પાંચ મુખ્ય સંદેશ આપવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી હિમાંશુ પંડ્યાએ સ્વાગત પ્રવચન તેમજ શ્રી સરિતા દલાલે આભાર વિધિ કરી હતી.
આ વિજય રથ પ્રસ્થાન પ્રસંગે સાંસદ સર્વશ્રી એચ. એસ. પટેલ, શ્રી રાજેશ ચુડાસમા, શ્રી દર્શનાબેન જરદોશ, શ્રી વિનોદ ચાવડા તેમજ ધારાસભ્યશ્રીઓ વિવિધ જિલ્લામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.