Western Times News

Gujarati News

અમદાવાદમાં ફરીવાર ATM મશીન તોડવાનો પ્રયાસ કરાયો

અમદાવાદ: શહેરના એટીએમ મશીન ફરી એક વખત તસ્કરોમાં નિશાને હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ પણ અનેક વખત એટીએમ મશીન ગેસ કટરથી તોડીને ચોરીના બનાવો સામે આવ્યા છે. ત્યારે શહેરના આનંદનગરમાં વધુ એક એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ જોવા મળ્યો છે. આનંદનગર રોડ પર આવેલા ધનંજય કોમ્પલેક્ષમાં બેંક ઓફ બરોડાના મેનેજરે પોલીસ ફરિયાદ આપી છે કે, તેમના બેંકના એટીએમ મશીનનો ગેટ, કેશ મશીન, સ્ક્રીન ફ્રેમ અને કાર્ડ રીડર તૂટેલી હાલતમાં હોવાની જાણ તેમને થઈ હતી. જેથી તેઓ તાત્કાલિક એટીએમ પર પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતા સિક્યોરિટી ઓફિસરને કરી હતી.

જેમણે સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું હતું કે, રાત્રિના ૧ કલાક ૪૦ મિનિટની આસપાસ ત્રણ લોકો લોખંડના સળિયા વડે એટીએમમાં ઘૂસીને મશીન તોડી લાખ્ખો રૂપિયાની ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. મશીનમાં તોડફોડ કરી રૂપિયા અઢી લાખનું નુકસાન કર્યું છે. જોકે, સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને ત્રણ જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે, નવાઇની વાત તો એ છે કે, આ અગાઉ પણ એટીએમમાં ચોરીના અનેક બનાવો સામે આવ્યા છે. છતાં પણ બેંકના સંચાલકો કોઈક શીખ લઇ રહ્યા નથી. મોટાભાગના એટીએમ સેન્ટર ઉપર રાત્રી દરમિયાન કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ હાજર હોતા નથી અને એટીએમ સેન્ટર ભગવાન ભરોસે જોવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.