Western Times News

Gujarati News

વ્યાજખોરોની મકાન પચાવી લેવાની ધમકી બાદ આપઘાત

અમદાવાદ: શહેરમાં ફરી વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. રામોલ વિસ્તારમાં આ બનાવ બન્યો છે. આ મામલે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. એક વેપારીએ ચાર વ્યાજખોરો પાસેથી ૧૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ માટે વેપારીએ તેનું મકાન ગીરવે મૂક્યું હતું. વ્યાજખોરો મકાન પચાવી પાડવાની ધમકી આપતાં આખરે વેપારીએ કંટાળીને આપઘાત કરી લેતાં સમગ્ર મામલે હવે રામોલ પોલીસે તપાસ શરૂ કરી છે. રામોલ ટોલ ટેક્ષ પાસે આવેલા જમાઈ નગરમાં રહેતા સાહિસ્તાબાનુ પઠાણ તેમના પરિવાર સાથે રહે છે. બે વર્ષ પહેલા તેમના પતિ દૂધના ટેન્કરની સફાઇ કરવાનો ધંધો કરતા હતા.

પતિએ ધંધા માટે ઈબ્રાહિમ મલેક પાસેથી ધંધા માટે પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેના બદલામાં તેમનું મકાન ગીરવે આપ્યું હતું. તેઓ મહિને દસ હજાર રૂપિયા ચૂકવતા હતા. મૃતકે સીબુભાઈ પાસેથી પણ એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેઓને પણ મહિને દસ હજાર વ્યાજ આપતા હતા. બાદમાં રામોલમાં રહેતાં ઝાકીરભાઇ પાસેથી પણ ફરિયાદી સાહિસ્તાબાનુના પતિએ ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને મહિને ૩૦ હજાર વ્યાજ આપતા હતા. જ્યારે અકુમીયા પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લઈ મહિને દસ હજાર વ્યાજ આપતા હતા.

આમ છતાં આ ચારેય લોકોએ સાહિસ્તા બાનુના પતિ શોકતખાન પાસેથી પૈસાની ઉઘરાણી કરી તેમને ત્રાસ આપતા હતા. આ તમામ લોકો પૈસાની માગણી કરવા ઘરે પણ આવતા હતા. આ ચારેય લોકો છેલ્લા કેટલાય સમયથી વેપારીને ત્રાસ આપતા અને પૈસા તથા વ્યાજની માગણી કરતા હતા. જેથી શોકતખાન ટેન્શનમાં રહેતા હતા. ઇબ્રાહિમ મિયાએ શોકતખાનને જણાવ્યું હતું કે, તમામ પૈસા ત્રણ મહિનામાં વ્યાજ સાથે પૂરા નહીં કરે તો ઘર ખાલી કરાવી દેશે. લૉકડાઉનને કારણે ધંધો ચાલતો ન હોવાથી શોકતખાન વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવી શક્યા ન હતા. જેનો ગેરફાયદો ઉઠાવી આ ચારેય લોકો અવારનવાર તેમના ઘરે જઈને તેમજ ફોન ઉપર ધમકી આપી પૈસાની ઉઘરાણી કરતા હતા. જેના કારણે કંટાળીને શોકતખાને દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમને મોબાઇલ ફોનમાં વીડિયો ઉતાર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.