Western Times News

Gujarati News

ટેન્ટ સિટી ખાતે ૮૦ મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષશ્રીઓની પરિષદ યોજાશે

વડોદરા,  ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે કેવડિયાની મુલાકાત લઈને ટેન્ટ સિટી ખાતે અત્રે યોજાઈ રહેલી ૮૦ મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષશ્રીઓની પરિષદની પૂર્વ તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરવાની સાથે પરિષદ સાથે સંકળાયેલા વિવિધ સ્થળોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું અને વ્યવસ્થાઓને સુચારુ બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું.

આ પરિષદમાં લોકસભા અને રાજ્ય સભા તેમજ ૩૩ રાજ્ય વિધાનસભાઓના અધ્યક્ષશ્રીઓ ભાગ લેવાના છે.જેમને રાષ્ટ્રપતિ શ્રી અને ઉપરાષ્ટ્રપતિશ્રી અત્રે ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે.જ્યારે આ પરિષદના ઇતિહાસમાં પ્રથમ ઘટના રૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સમાપન સત્રમાં ઓનલાઇન પ્રવચન આપશે.

તેમણે પ્રશાસન સાથેની બેઠકમાં આ પરિષદમાં ભાગ લઈ રહેલા મહેમાનોના માધ્યમથી દેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને અન્ય સંખ્યાબંધ આકર્ષણોની દર્ષનીયતાનો સંદેશ દેશને મળે એ પ્રકારની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો અનુરોધ કર્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી એક અતિ વિશિષ્ઠ સ્થળ છે,દેશની એકતાના ઘડવૈયા સરદાર સાહેબનું આ સ્મારક છે,પ્રતિમાની ૧૮૨ મીટરની ઊંચાઈ રાજ્યની વિધાનસભાના ૧૮૨ સદસ્યોની સૂચક છે અને ગુજરાતના સાડા છ કરોડ પ્રજાજનોની લાગણી તેની સાથે જોડાયેલી છે એવી માહિતી આપતાં તેમણે આ અતિ વિશિષ્ઠ સ્થળની આ પરિષદ માટે પસંદગી કરવા બદલ લોકસભાના અધ્યક્ષશ્રીને સાભાર ધન્યવાદ આપ્યા હતા.શ્રી ત્રિવેદીએ આ પરિષદ ના આયોજનમાં રાજ્ય સરકારના ઉમદા સહયોગ માટે મુખ્યમંત્રીશ્રી નો આભાર માન્યો હતો.

એક્ઝિક્યુટિવ, લેજીસ્લેચર અને જ્યુડિસ્યરી એ ભારતની બંધારણીય વ્યવસ્થાના ત્રણ મુખ્ય અંગો છે એવી લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, આ પરિષદમાં મુખ્યત્વે આ ત્રણેય અંગો વચ્ચે સુમેળ અને સુચારુ સંકલનમાં અભિવૃદ્ધિને લગતી બાબતોનો વિવિધ સત્રોમાં વિચારવિમર્શ થશે.

તેમણે જણાવ્યું હતું કે માનનીય રાષ્ટ્રપતિ મહોદય,આદરણીય ઉપરાષ્ટ્રપતિશ્રી લોકસભાના અધ્યક્ષશ્રીની પ્રત્યક્ષ ઉપસ્થિતિ અને માર્ગદર્શન તેમજ આદરણીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા ઓનલાઇન સમાપન પ્રવચન,સરદાર પ્રતિમાના સાનિધ્યમાં બંધારણના આમુખ ની સાક્ષી હેઠળ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ આ પરિષદને અવિસ્મરણીય અને યાદગાર બનાવશે.લોકસભા અને રાજ્યસભાના નેતા પ્રતિપક્ષને પણ આમંત્રિત કરાયા છે.આ પરિષદના આયોજનમાં રાજ્ય સરકારે સંપૂર્ણ પીઠબળ આપ્યું છે.

આ બેઠકમાં પ્રવાસન સચિવ મમતા વર્મા,નર્મદા નિગમના જોઇન્ટ એમ ડી.સંદીપકુમાર,ટ્રાન્સપોર્ટ કમિશનર શ્રી રાજેશ માંઝુ, જિલ્લા કલેકટર શ્રી ડી. એ.શાહ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.