Western Times News

Gujarati News

૨૦૨૨ સુધીમાં મેલેરીયા મુક્ત ગુજરાત-અભિયાન હેઠળ “મેલેરીયા મુક્ત જામનગર” માટે સઘન ઝુંબેશ 

જામનગર જિલ્લા(ગ્રામ્ય)માં ડેન્ગ્યું વિરોધી માસ-જુલાઈ–૨૦૧૯ ઉજવણીનો માસ -ડેન્ગ્યુ, ચીકનગુનીયાના રોગ અટકાયત ઝુંબેશ

(સંકલન- દિવ્યાબેન ત્રિવેદી, માહિતી મદદનીશ)

જામનગર તા.૦૬ ઓગષ્ટ, ગુજરાત રાજ્યમાં અને જામનગર જીલ્લામાં હાલ ડેન્ગ્યુ, મેલેરીયા કેસો જોવા મળે છે, ડેન્ગ્યુએ(DEN-1,2,૩,4 )વાઈરસથી થતો રોગ છે. ઘરના સંગ્રહિત ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થતો એડીસ ઈજીપ્તી પ્રકારના ચેપી માદા વાહક મચ્છર દ્રારા તંદુરસ્ત વ્યક્તિને દિવસે કરડવાથી ફેલાય છે. જેથી મચ્છર ઉત્પતિ અટકાવા માટે ઘરમાં સંગ્રહિત કરેલ પાણીના તમામ ટાંકાઓં/પાત્રોને માત્ર હવાચુસ્ત ઢાંકવાથી તેમજ ઘરની આસપાસ/છત ઉપર ચોમાસા પહેલા કે બાદ બિનઉપયોગી કાટમાળ નિકાલ/નાશ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી. આવી રીતે રોગથી સ્વયંભુ બચી શકાય છે.

ભારત સરકાર દ્રારા ૨૦૩૦ સુધીમાં મેલેરીયા નાબુદી અભિયાન અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્રારા ૨૦૨૨ સુધીમાં મેલેરીયા મુક્ત ગુજરાત-અભિયાન એમ ચાર વર્ષમાં હાંસલ કરવા સૂચન કરેલ છે. આ ઉદ્દેશને સાકાર કરવા વર્ષ ૨૦૧૭થી સઘન ઝુંબેશ શરૂ કરેલ હતી. જેના ભાગરૂપે હાથ ધરવાની થતી જુદી જુદી પ્રવુતિઓનું આયોજન અને અમલીકરણને કારણે જામનગર જિલ્લા ગ્રામ્યમાં ૨૦૧૭ વર્ષ કરતાં વર્ષ ૨૦૧૮માં ડેન્ગ્યુંના પ્રમાણમાં ૩૪%નો ઘટાડો હાંસલ કરેલ છે. જામનગર(ગ્રામ્ય) જિલ્લામાં ચાલુ વર્ષ ૨૦૧૯માં ૨૯ મેલેરીયા કેસ, ૧૯ ડેન્ગ્યું કેસ અને ૦ ચિકનગુનિયા કેસ નોંધાયેલ છે.
NVBDCP પ્રોગામ અંતર્ગત જાહેર કર્યા મુજબ દર વર્ષની જેમ જુલાઈ માસ, ‘ડેન્ગ્યું વિરોધી માસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ ડેન્ગ્યું-ચીક્ગુનીયા જેવા વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ/નાબુદી માટે વિવિધ આઈ.ઈ.સી. માધ્યમથી જનજાગૃતિ કેળવવા જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાની હોય છે. તેમજ તા.લાલપુરમાં ૨૧ ગામોમાં, તા.કાલાવડમાં ૭૯ ગામોમાં, તા. જામનગરમાં ૫૯ ગામોમાં, તા.ધ્રોલમાં ૦૮ ગામોમાં, તા.જોડીયામાં ૦૫ ગામોમાં, તા. જામજોધપુરમાં ૮૮ ગામોમાં એમ કૂલ ૨૫૮ ગામોમાં છેલ્લા પાંચ વર્ષમાં નીકળેલ ડેન્ગ્યું કેસવાળા વિસ્તારોમાં જુલાઈ માસ દરમિયાન ડ્રાય ડે(સુકો દિવસ)ની ઉજવણી કરવામાં આવી હતી.

જે અંતર્ગત અઠવાડીયામાં એક દિવસ પાણી ભરેલ પાત્રો ખાલી કરાવી લોકો દ્રારા તે પાત્રોને સારી રીતે સાફ કરાવી પાત્રો તડકામાં સુકવીને નવું તાજું પાણી ભરી હવાચુસ્ત ઢાંકણ ઢાંકવાથી ડેન્ગ્યુંના એડીસ મચ્છરના પોરા થતા નથી. તેમજ ઘર અને છત ઉપર બિનઉપયોગી કાટમાળ નિકાલ/નાશ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી. જેથી ડેન્ગ્યું-ચીકનગુનીયાનો રોગચાળા થતો અટકાવી શકાય છે.

તેમજ જુલાઈ માસ, “ડેન્ગ્યું વિરોધી માસ” તરીકેની ઉજવણીમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ૪૪૪ ગામોમાં હાઉસ ટુ હાઉસ રૂબરૂ ૧૭૨૩૭૧ ઘરોની ફિલ્ડ મુલાકાત કરી તેમાં સર્વેલન્સ, પોરાનાશક, આરોગ્ય શિક્ષણની કામગીરી કરવામાં આવી તેમજ ૩૩ સેમીનાર, ૨૪૭ પ્રદર્શન, ૪૭૩ બેનર, ૩૫૪ પોસ્ટર, ૭૧૧૯૫ પત્રિકા વિતરણ, ૧૫ સાંસ્કૃતિક કાર્યક્રમ, ૪૬ ગુરુશિબિર, ૧૩૨ લઘુશીબીર, ૨૩૫ ગ્રામ સંજીવની મીટિંગ, ૨૦૧૬ જુથ ચર્ચા, ૬૩૨ ભીંતસૂત્રો, ૩૧ પેન્ટિંગ, ૯૯ જાહેર ડેમોસ્ટ્રેસનો, ૦૯ રેલી, ૨૫૮ ગામમાં ડ્રાય ડેની ઉજવણી કરવામાં આવી હતી તેમજ અન્ય આરોગ્ય શિક્ષણની કામગીરી માટે ઝુંબેશમાં હાથ ધરેલ. એન.વી.બી.ડી.સી.પી.(મેલેરીયા વિભાગ)-રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય ડેન્ગ્યું દિવસની ઉજવણી અંતર્ગત બાયસેગ સેટકોમથી ડેન્ગ્યું-ચિકનગુનિયાના રોગથી બચવાની સમજ આપી હતી.

જુલાઈ માસ, ડેન્ગ્યું વિરોધી માસ તરીકેની ઉજવણીમાં ફિલ્ડ કામગીરીની વિગતમાં જામનગર જિલ્લા(ગ્રામ્ય)ના ૫૭૩ આરોગ્ય કર્મચારી દ્રારા ૮૭૯૨૦૩ વસ્તી અને ૧૭૨૩૭૧ ઘરો ધરાવતા ૪૪૪ ગામની હાઉસ ટુ હાઉસ મુલાકાત કરતા તાવના ૧૮૮૦૦ કેસ જોવા મળ્યા હતા જેમાં તાવના લોહીના ૧૮૮૦૦ નમુનાની સ્લાઈડ લીધી હતી જેમાં, મેલેરીયાના પોઝીટીવ કેસ ૧૦ (દસ) મળેલ છે.

મચ્છર ઉત્પતિ અટકાવવા પોરાનાશક કામગીરીમાં ૬૫૮૩૫૫ પાત્રોની તપાસણી કરેલ હતી, જેમા, ૩૨૦૭ પાત્રોમાંથી પોરા મળેલ હતા ઉપરાંત ૩૨૨૪૩૨ પાત્રોમાં એબેટ દવા નાખેલ, ૫૭૧૭ પાત્રો નાશ/નિકાલ કરેલ, ૭૧૧૯૫ પત્રીકાનુ વિતરણ, માઈક પ્રચાર, બી.ટી.આઈ. ૯૧૩ પાણી ભરેલ ખાડામાં છંટકાવ કરેલ, ૨૬૦ ખાડામાં બળેલ ઓઈલ/કેરોસીન નાખેલ, ૬૪ સ્થળોમાં પોરાભક્ષક ગપ્પી-ગમ્બુસીયા માછલી નાખેલ અને ડેન્ગ્યુ કેસ વાળા વિસ્તારોમાં ૫૧૮ ઘરની અંદર ઇન્ડોર ફોગીંગ કરાયું હતું.

જુલાઈ માસ દરમિયાન જામનગર જિલ્લા(ગ્રામ્ય)માં શંકાસ્પદ ડેન્ગ્યુ તાવના ૯૪ લોહીના સેમ્પલનું સરકાર માન્ય ELISA Methodથી પરીક્ષણ કરતા સાદા ડેન્ગ્યુ તાવના નવા ૧૦ પોઝીટીવ કન્ફર્મ કેસ નોંધાયેલ છે. તેમજ હાલમાં જી.જી. હોસ્પિટલ, જામનગરમાં ગંભીર પ્રકારના ડેન્ગ્યું કેસ દાખલ નથી અને ડેન્ગ્યું કે મેલેરીયા રોગમાં મરણ નોંધાયેલ નથી.

ડેન્ગ્યુ, ચીકનગુનીયા રોગથી લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી. શંકાસ્પદ મેલેરીયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર/સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવી સારવાર લેવા લોકોને વિનંતી છે.

વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જ્યારે પ્રજાજનો સહકાર આપે. લોકોની સુખાકારીએ સરકારની જવાબદારી છે, પરંતુ સહકાર મળવો એ અનિવાર્ય છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવેલ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.