૨૪ કલાકમાં અમદાવાદમાં ૪૭ કેસ નોંધાયા: રાજ્યમાં એક પણ મોત નહી

રાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૨૫૫ કેસ નોંધાયો -અત્યાર સુધીમાં કુલ ૨૫૭૯૬૮ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતાઃ
ગાંધીનગર, સમગ્ર દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧,૪૧,૫૧૧ છે. અત્યાર સુધીમાં દેશમાં ૬૬,૧૧,૫૬૧ લોકોને વેક્સિનેશન થઈ ચૂક્યું છે. જ્યારે દેશમાં કોરોનાનો કુલ આંકડો ૧,૦૮,૫૮,૩૭૧ સુધી પહોંચી ગયો છે તો ભારતમાં અત્યાર સુધીમાં ૧,૦૫,૬૧,૬૦૮ લોકો કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છે.
અત્યાર સુધીમાં આ મહામારીના કારણે ૧,૫૫,૨૫૨ લોકોના મોત થઈ ચૂક્યા છે તો ગુજરાતમાં પણ ૨૪ કલાકમાં ૨૫૫ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક પણ ૪૩૯૭ થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૨૫૫ કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં ૨૪ કલાકમાં ૪૯૫ દર્દીઓ સ્વસ્થ થયા છે.
જેથી હવે કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ ૨૫૭૯૬૮ દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ ૯૭.૬૫%એ પહોંચ્યો છે. રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં ૪૭, સુરતમાં ૩૩, વડોદરામાં ૫૦ તેમજ રાજકોટમાં ૪૦ દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ ૧૮૦૦ એક્ટિવ કેસમાંથી ૨૬ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૧૭૭૪ સ્ટેબલ છે.
સૌથી રાહતની વાત એ છે કે રાજ્યમાં ૨૪ કલાકમાં એકપણ મોત નોંધાયેલ નથી. દેશમાં આશરે ૨૦ લાખ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે તો રસી લગાડવાના મામલે કર્ણાટક સૌથી આગળ છે. ગુજરાતમાં પણ ૨૪ કલાકમાં ૮૮૩ કેન્દ્રો પર ૫૩,૬૧૫ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. જેથી અત્યાર સુધીમાં કુલ ૭,૧૪,૧૩૧ વ્યક્તિઓનું રસીકરણ થયું છે.