કેજરીવાલની દીકરી સાથે ૩૪૦૦૦ રૂપિયાની ઠગાઈ
નવી દિલ્હીઃ ઓનલાઈન ફ્રોડને લઈને સરકાર, બેંકો અને આરબીઆઈ દ્વારા અવાર-નવાર ચેતવણી આપવામાં આવે છે. ઓનલાઈન ફ્રોડ કરનારા કઈ-કઈ પદ્ધતિઓ અપનાવે છે તે અંગે પણ જાગૃતિ ફેલાવવાના પ્રયાસો થતા રહે છે. જાેકે, તેમ છતાં લોકો તકેદારી રાખતા નથી અને આવા ફ્રોડ કરનારાની જાળમાં ફસાઈ જાય છે. આવા જ એક ઓનલાઈન ફ્રોડનો ભોગ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરી બની છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા સાથે એક વ્યક્તિએ ૩૪,૦૦૦ રૂપિયાની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. હર્ષિતાએ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઓએલએક્સ પર સોફો વેચવા માટે મૂક્યો હતો અને એ વ્યક્તિએ પોતાને ગ્રાહક જણાવી તેની સાથે ફ્રોડ કર્યું.
પોલીસે સોમવારે જણાવ્યું કે, આ સંબંધમાં રવિવારે પોલીસને જાણ કરાયા બાદ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રીની દીકરીએ એક સોફો વેચવા માટે ઈ-કોમર્સ વેબસાઈટ પર તે અંગેની વિગતો મૂકી હતી. એક વ્યક્તિએ તે ખરીદવાનો રસ બતાવ્યો હતો અને હર્ષિતાનો સંપર્ક કર્યો હતો.
અકાઉન્ટ યોગ્ય છે કે નહીં તે તપાસવાના નામ પર તેણે હર્ષિતાના ખાતામાં એક નાની રકમ ટ્રાન્સફર કરી હતી. તે પછી એ વ્યક્તિએ એક ક્યૂઆર કોડ મોકલ્યો હતો અને તે સ્કેન કરવા કહ્યું હતું, જેથી સોફાની નક્કી કરાયેલી રકમ હર્ષિતાના ખાતામાં ટ્રાન્સફર કરી શકાય. પરંતુ, એવું કરવા પર હર્ષિતાના ખાતામાંથી ૨૦,૦૦૦ રૂપિયા કપાઈ ગયા.
તે પછી જ્યારે હર્ષિતાએ એ વ્યક્તિને ફરિયાદ કરી તો તેણે કહ્યું કે, ભૂલથી આવું થઈ ગયું છે. તેણે ફરીથી એ જ પ્રક્રિયા કરવા હર્ષિતાને કહ્યું અને હર્ષિતાએ એ મુજબ કરતા તેના ખાતામાંથી બીજા ૧૪,૦૦૦ રૂપિયા કપાઈ ગયા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘મળેલી ફરિયાદના આધારે સંબંધિત કલમોના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે. તપાસ શરૂ કરવામાં આવી છે અને અમે આરોપીને શોધી રહ્યા છીએ.