ભાજપના કોર્પોરેટરના પુત્રનો બાથરુમમાં લટકીને આપઘાત
રાજકોટ: રાજકોટમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ ગ્રીન પાર્ક-૧માં રહેતો વિશાલ સોરઠીયા સવારે સ્નાન માટે બાથરૂમમાં ગયો હતો પરંતુ મોડે સુધી બહાર ન આવતાં તેના મોટાભાઇએ દરવાજા ખખડાવ્યો હતો અને બે વખત તેના નામનો અવાજ કર્યો હતો પરંતુ જવાબ ન મળતાં કંઇક અજુગતુ બન્યાનું સમજી પુશ બટનવાળો દરવાજા ખુલ્લો જ હોઇ તે ખોલીને જાતાં તે શાવરમાં લટકતો જાવા મળ્યો હતો.
૧૦૮ના તબિબે વિશાલને તપાસીને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર વિશાલ ત્રણ બહેન અને બે ભાઇમાં બીજા નંબરે હતો. તે મવડીમાં લોખંડનું કારખાનું ધરાવતો હતો. તેને સંતાનમાં સવા વર્ષની દીકરી છે. પત્ની હાલ પિયરે હોઇ તેને જાણ થતાં તે પણ ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં.
પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાતનું કોઇ કારણ હાલ બહાર આવ્યું નથી. પરિવારજનો પણ હાલ કંઇ કારણ જાણતા નથી. વિશાલના પિતા વિનુભાઇ સોરઠીયા આ વર્ષે જ ભાજપના કોર્પોરેટર તરીકે વોર્ડ નં. ૧૧માંથી ચૂંટાયા છે. યુવાન દિકરાના આ પગલાથી તેઓ તથા પરિવારના બીજા સભ્યો શોકમાં ગરક થઇ ગયા છે. બનાવની જાણ થતાં વિનુભાઇ સોરઠીયાના સગા સ્વજનો તેમજ વિસ્તારના ભાજપ આગેવાનો, બીજા કોર્પોરેટરો નિવાસસ્થાને અને હોસ્પિટલે પહોંચી ગયા હતાં અને વિનુભાઇને દિલાસો પાઠવ્યો હતો. મવડીમાં લોખંડનું કારખાનુ ધરાવતાં ૨૮ વર્ષના વિશાલના આ પગલાથી સવા વર્ષની દીકરીએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.