ભારતમાં વેક્સીનેશન જ કોરોનાનું સમાધાન : બાઇડનના સ્વાસ્થ્ય સલાહકાર ડૉક્ટર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/corona-scaled.jpeg)
Files Photo
વોશિંગટન: અમેરિકાના ટૉપ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડૉ. એન્થની ફાઉચીએ કહ્યું કે ભારતમાં કોવિડ-૧૯ના વર્તમાન સંકટથી ઉભરવા માટે લોકોનું વેક્સીનેશન કરવું જ એકમાત્ર લાંબા ગાળાનું સમાધાન છે. તેઓએ આ ઘાતક મહામારીનો સામનો કરવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોવિડ-વિરોધી વેક્સીનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મૂક્યો.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડનના મુખ્ય ચિકિત્સા સલાહકાર ડૉ. ફાઉચીએ એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ મહામારીનો સંપૂર્ણપણે ખાતમો કરવા માટે લોકોનું વેક્સીનેશન કરવું જાેઈએ. ભારત દુનિયાનો સૌથી મોટો વેક્સીન નિર્માતા દેશ છે. તેમને પોતાના સંસાધન મળી રહ્યા છે, બહારથી પણ તેમને મદદ મળી રહી છે. તેઓએ વધુમાં કહ્યું કે, આ જ કારણ છે કે અન્ય દેશોને ભારતને વેક્સીનેશન નિર્માણ માટે સહાયતા આપવી જાેઈએ અથવા તો વેક્સીન દાન આપવી જાેઈએ.
ડૉ. ફાઉચીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, ભારતને તાત્કાલિક અસ્થાયી હૉસ્પિટલ બનાવવાની જરૂર છે. જે રીતે લગભગ એક વર્ષ પહેલા ચીને કર્યું હતું. તેઓએ કહ્યું કે, તમારે આવું કરવું જ પડશે. તમે હૉસ્પિટલમાં બેડ ન હોવાના કારણે લોકોને રસ્તાઓ પર ન છોડી શકો. ઓક્સિજનની સ્થિતિ ખૂબ નાજુક છે. મારો મતલબ છે કે લોકોને ઓક્સિજન નહીં મળવો તે ખૂબ દુખદ બાબત છે.
ફાઉચીએ કહ્યું કે, તાત્કાલિક હૉસ્પિટલના બેડ, ઓક્સિજન, પીપીઇ કિટ અને અન્ય મેડિકલ સપ્લાયની સમસ્યા છે. તેઓએ વાયરસના પ્રસારને અટકાવવા માટે દેશવ્યાપી લૉકડાઉનની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો. ભારતમાં કોવિડ-૧૯ની વિરુદ્ધ વેક્સીનેશન અભિયાનની શરૂઆતથી લઈને અત્યાર સુધી વેક્સીનેશનના ૧૭ કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી. મંત્રાલયે જણાવ્યું કે શુક્રવારે દેશના ૩૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૧૮-૪૪ વર્ષની ઉંમરના ૨,૪૩,૯૫૮ લોકોને કોવિડ-૧૯ વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો. અત્યાર સુધી આ ઉંમર વર્ગના ૨૦,૨૯,૩૯૫ લોકોને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.