સુપર અલ નીનોનું સંકટ: વર્ષ 2026-27માં ભારતીય ચોમાસા પર જોખમ અને ભયંકર દુષ્કાળની ચેતવણી
-
સુપર અલ નીનોનો ખતરો: સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠને ચેતવણી આપી છે કે આગામી અઠવાડિયામાં અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ‘સુપર અલ નીનો’ શરૂ થવા જઈ રહ્યો છે.
-
ચોમાસું ખોરવાશે અને મોંઘવારી વધશે: અલ નીનોના કારણે ભારતીય ચોમાસાની ગતિ ધીમી પડવાની કે અવરોધાવાની ભીતિ છે, જેનાથી પાક નિષ્ફળ જશે અને વૈશ્વિક સ્તરે અનાજ-શાકભાજી મોંઘા થશે.
-
વૈશ્વિક તાપમાનમાં રેકોર્ડ વધારો: પ્રશાંત મહાસાગરનું પાણી ઝડપથી ગરમ થવાને કારણે વર્ષ 2027 ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે, જ્યારે ભારત, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં ભયંકર ગરમી અને સૂકા હવામાનની આશંકા છે.
મુંબઈ, વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જની ગંભીર અને નકારાત્મક અસરો વચ્ચે હવે ભારતીય ચોમાસા પર સંકટના વાદળો ઘેરાયા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) અને વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) એ સંયુક્ત રીતે એક ગંભીર ચેતવણી જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી થોડા જ અઠવાડિયામાં ‘અલ નીનો’ નો એક અત્યંત ખતરનાક અને વિનાશક તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય હવામાન એજન્સીઓના મતે, આ વખતે વૈશ્વિક સ્તરે આવી રહેલો અલ નીનો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી હોઈ શકે છે. વૈજ્ઞાનિકો અને આબોહવા નિષ્ણાતો આ અસાધારણ ઘટનાને ‘સુપર અલ નીનો’ તરીકે ઓળખાવી રહ્યા છે. આ ભૌગોલિક ઘટનાના કારણે વર્ષ 2026 ના બાકીના મહિનાઓમાં વિશ્વભરના હવામાનમાં ભારે ઉથલપાથલ જોવા મળશે. જેના લીધે ભારત સહિત અનેક દેશોમાં ભયંકર દુષ્કાળ અને અસહ્ય ગરમીનો ખતરો નોંધપાત્ર રીતે વધી ગયો છે.
ટેકનિકલ રીતે જોઈએ તો, અલ નીનો એ સમુદ્રની સપાટી પર થતી એક કુદરતી અને ભૌતિક હલચલ છે, જેમાં પ્રશાંત મહાસાગરનું પાણી અસાધારણ રીતે ગરમ થઈ જાય છે. આ ગરમીના કારણે વૈશ્વિક સ્તરે ફૂંકાતા પવનો નબળા પડે છે અને તેના પરિણામે આખી દુનિયાની મોસમી સિસ્ટમ અને વરસાદી ચક્ર ખોરવાઈ જાય છે. જો પ્રશાંત મહાસાગરના આ ચોક્કસ વિસ્તારનું તાપમાન લાંબા સમય સુધી સામાન્ય કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ વધી જાય, તો તેને વૈજ્ઞાનિક પરિભાષામાં ‘સુપર અલ નીનો’ કહેવામાં આવે છે.
સેટેલાઈટ અને દરિયાઈ ઉપકરણોના તાજેતરના ડેટા દર્શાવે છે કે સમુદ્રની સપાટીથી સેંકડો મીટર નીચે ગરમ પાણીની એક વિશાળ લહેર પૂર્વ તરફ ઝડપથી આગળ વધી રહી છે. આ લહેર આગામી સમયમાં વૈશ્વિક તાપમાનમાં આશરે 0.2 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરી શકે છે. વૈજ્ઞાનિકોના મતે આ વિપરીત સ્થિતિને કારણે વર્ષ 2027 ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે.
આ સુપર અલ નીનોના કારણે ભારતીય ચોમાસાની ગતિ અત્યંત ધીમી પડી શકે છે અથવા તે સંપૂર્ણપણે અવરોધાઈ શકે છે. જેનાથી દેશના કૃષિ ક્ષેત્રને અને ગ્રામીણ અર્થતંત્રને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ભારત ઉપરાંત આફ્રિકાના કેટલાક ભાગો, દક્ષિણ-પૂર્વી એશિયા અને ઓસ્ટ્રેલિયામાં પણ હવામાન ખૂબ જ ગરમ અને સૂકું થઈ જશે, જેના કારણે જંગલોમાં દવાનળ (આગ) લાગવાની ઘટનાઓ વધી શકે છે. આનાથી તદ્દન વિપરીત, દક્ષિણ અમેરિકા જેવા દેશોમાં અતિભારે વરસાદના કારણે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.
ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ વિશ્વમાં મજબૂત અલ નીનોની સ્થિતિ બની છે, ત્યારે મોટા પાયે પાક નિષ્ફળ જવાનો સામનો કરવો પડ્યો છે. અનાજ, કઠોળ અને શાકભાજીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થતાં વૈશ્વિક સ્તરે મોંઘવારી આસમાને પહોંચશે અને વિકાસશીલ દેશોનું અર્થતંત્ર ખોરવાશે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ આગાહ કર્યા છે કે, આ સ્થિતિ પહેલાથી જ ગરમ થઈ રહેલી પૃથ્વીની આગમાં ઘી હોમવાનું કામ કરશે અને તેના પરિણામો માનવજાત માટે ખૂબ જ વિનાશક હોઈ શકે છે.
