કોરોના સામે લડવા ૨૩૧૨૩ કરોડનું ઈમરજન્સી પેકેજ

નવી દિલ્હી: મોદી કેબિનેટના વિસ્તારના એક દિવસ બાદ પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ નવી ટીમની સાથે કેબિનેટની બેઠક યોજી છે. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યા છે. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધિત કરતા કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે, કિસાનોને એપીએમસી દ્વારા એક લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે.
અનુરાગ ઠાકુરે કહ્યુ કે પાછલા વર્ષે ૧૫ મેએ એગ્રીકલ્ચર ફંડની રચના કરવામાં આવી હતી, તેને એપીએમસીને મજબૂત કરવા માટે કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ ફંડમાં નાણાકીય યોગદાનની રીતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઠાકુરે કહ્યું કે, કોરોના સામે લડવા માટે ૨૩૧૨૩ કરોડ રૂપિયાના ઇમરજન્સી પેકેજને કેબિનેટે મંજૂરી આપી છે.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, નાળિયેર સેક્ટરમાં સંશોધન કરવામાં આવશે. વિશ્વભરમાં નાળિયેરના કારોબારને વધારવા માટે ભાર આપવામાં આવશે. આ સાથે નાળિયેર બોર્ડમાં સીઈઓની નિમણૂક કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, એપીએમસી માર્કેટને મજબૂત કરવામાં આવસે. કૃષિ બજારોને વધુ સંસાધન આપવામાં આવશે. નરેન્દ્ર તોમરે કહ્યુ કે, સરકારના ર્નિણયથી કિસાનોની આવકમાં વધારો થશે.
કૃષિ મંત્રીએ આગળ કહ્યુ- મોદી સરકાર સતત કિસાનો માટે પગલા ભરતી આવી છે. હું આંદોલન કરનારા કિસાનોને કહેવા ઈચ્છુ છું કે વારંવાર કહેવામાં આવે છે કે નવા કૃષિ કાયદામાં એપીએમસી ખતમ થશે, પરંતુ બજેટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એપીએમસી ખતમ નહીં પરંતુ મજબૂત બનશે. આજે ર્નિણય લેવામાં આવ્યો છે કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ઉપયોગ એપીએમસી (કૃષિ બજાર ઉત્પાદન સમિતિ) પણ કરી શકશે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પત્રકાર પરિષદ દરમિયાન હેલ્થ ઇમરજન્સી માટે ૨૩ હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ૮ હજાર કરોડ રાજ્ય સરકારોને આપીશું. દેશમાં ૪ લાખથી વધુ ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે.
પત્રકાર પરિષદ દરમિયાન સૂચના તથા પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની સાથે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર હાજર રહ્યા હતા. આ બેઠક વર્ચ્યુઅલી યોજવામાં આવી અને તેમાં ૩૦ મંત્રી સામેલ હતા. નવી કેબિનેટની ટીમ સાથે પ્રધાનમંત્રીની આ પ્રથમ બેઠક હતી.