નિષ્ઠુર જનેતાએ ૮ માસના શિશુને ત્યજી દેતા શિશુનું મોત નિપજયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/infant.jpg)
Files Photo
રાજકોટ: રાજકોટમાં ફરી એક વખત નિષ્ઠુર જનેતાએ નવજાત શિશુને ત્યજી દીધાની ઘટના સામે આવી છે. સવારે કાલાવડ થી રાજકોટ તરફ આવતા ખિરસરા ગામના બસ સ્ટેશન પાસે થી ૮ માસનું નવજાત શિશું મૃત હાલતમાં મળી આવ્યું હતું. ખિરસરા ગામના ઉપ સરપંચે લોધિકા પોલીસમાં અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી.
ખિરસરા ગામના ઉપ સરપંચ મુકેશ સાગઠિયાએ જણાવ્યું હતું કે, ” સવારે ૧૧ઃ૩૦ વાગ્યે કાલાવડ રાજકોટ રોડ પર અમારા ગામના બસ સ્ટેશન થી આગળ તાજું જન્મેલું મૃત બાળક પડ્યું હોવાનું પ્રવીણ ટોળીયાએ માહિતી આપી હતી. જેથી હું ત્યાં ગયો અને તપાસ કરતા બાળક મૃત હાલતમાં હતું. એટલે લોધિકા પોલીસને મેં જાણ કરી. પોલીસે મૃત બાળકને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધું હતું. મેં લોધિકા પોલીસમાં આ બાળકને ત્યજી દેનાર મહિલા સામે ફરિયાદ નોંધાવી છે”.
લોધિકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ કે.કે.જાડેજા આ મામલે તપાસ કરી રહ્યા છે. મૃત શિશુ સ્ત્રી છે કે પુરૂષ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃત શિશું ૮ મહિનાનું હોવાનું સામે આવ્યું છે. જેને આધારે તપાસ શરૂ કરી છે.
હાલ પોલીસે અજાણી સ્ત્રી સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ૮ માસના શિશુંને કયા કારણોસર ત્યજી દેવામાં આવ્યું છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. અજાણી મહિલાએ ગર્ભપાત કરાવ્યો છે કે પછી મિસ ડિલેવરી થતા શિશું મોતને ભેટયું છે સહિતના સવાલો ઉભા થયા છે. હાલ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે.