ખેડૂત આંદોલનનો ઉકેલ લાવવા સુપ્રીમ કોર્ટની કેન્દ્રને તાકીદ

Files Photo
નવી દિલ્હી, ખેડૂતોના આંદોલનને કારણે રસ્તાઓ બંધ થવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ સમસ્યાનો ઉકેલ શોધવા કહ્યું છે. નોઇડાનાં એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ વાત કહી. અરજદારે માંગ કરી કે ખેડૂતોના આંદોલનને કારણે નોઈડાથી દિલ્હીને જાેડતા રસ્તાઓ બંધ છે અને તેના કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તાઓ ખોલવા જાેઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે શા માટે અત્યાર સુધી રસ્તાઓ બંધ છે. વિરોધ કરવામાં કોઈ નુકસાન નથી, પરંતુ રસ્તાઓ બ્લોક ન થવા જાેઈએ. આ સાથે જ, સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને ત્રણ સંબંધિત રાજ્ય સરકારોને નોટિસ આપી છે અને તેમનો જવાબ માંગ્યો છે.
કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સંકલન કરવા અને રોડ બ્લોક દૂર કરવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું. અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ કૌલે કહ્યું કે, ‘ઉકેલ કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્યોના હાથમાં છે. કોઈપણ કારણોસર રસ્તા બંધ ન કરવા જાેઈએ. આ મુદ્દો ઉકેલવા માટે કેન્દ્ર સરકારને સમય આપવામાં આવ્યો છે. તે આ સમસ્યાનો ઉકેલ લાવે અને તેનો રિપોર્ટ અમને આપે.
એક તરફ કોર્ટે કેન્દ્ર સરકારને ઉકેલ શોધવાની સલાહ આપી, તો બીજી તરફ તેણે ખેડૂતોને આંદોલનને લગતી સલાહ પણ આપી હતી. કોર્ટે કહ્યું કે ખેડૂતોને આંદોલન કરવાનો અધિકાર છે, પરંતુ તેઓ આ માટે રસ્તા બંધ કરી શકતા નથી. તેઓ અન્ય સ્થળેથી પણ આંદોલન કરી શકે છે. નોઈડાની રહેવાસી મોનિકા અગ્રવાલે કોર્ટમાં અરજી કરી હતી કે નોઈડાથી દિલ્હીનો રસ્તો જે માત્ર ૨૦ મિનિટનો હતો, હવે બે કલાકથી વધુ સમય લાગી રહ્યો છે. આ મામલાનો અંત આવવો જાેઈએ. આ સાંભળીને કોર્ટે કહ્યું કે ખેડૂતોનો પ્રશ્ન અન્ય રીતે ઉકેલી શકાય છે. પરંતુ સામાન્ય લોકોને તેના કારણે મુશ્કેલી ઉભી થવી ન જાેઈએ.SSS