રાષ્ટ્રપતિ શી જિનપિંગના વિચાર શાળાઓમાં ભણાવવામાં આવશે
બીજીંગ, ચીને પોતાના રાષ્ટ્રીય પાઠ્યક્રમમાં ભારે મોટો ફેરફાર કર્યો છે. હવે ત્યાંની પ્રાથમિક સ્તરની શાળાઓથી લઈને વિશ્વવિદ્યાલય સુધી રાષ્ટ્રપતિ શી જિનપિંગ અંગે ભણાવવામાં આવશે. ચીનના દરેક યુવાનો માટે શી જિનપિંગના સમાજવાદ અંગેના વિચારો ભણવા ફરજિયાત થઈ જશે.
ચીનના શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, શી જિનપિંગના વિચારોને રાષ્ટ્રીય પાઠ્યક્રમમાં સામેલ કરવાથી યુવાનોમાં માર્ક્સવાદી વિચારધારા સ્થાપિત કરવામાં મદદ મળશે. આ માટે નવી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે.
શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, પ્રાથમિક સ્તરથી લઈને વિશ્વવિદ્યાલય સુધી નવા યુગમાં ચીનની વિશેષતાઓ વચ્ચે સમાજવાદ પર શી જિનપિંગના વિચારો ભણાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, દિશાનિર્દેશોનો ઉદ્દેશ્ય નવી શિક્ષણ સામગ્રી અંતર્ગત યુવાનોમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવાનો તથા પાર્ટીને સાંભળવાનો અને તેના ઉદ્દેશ્યો પૂરા કરવાનો છે.
૨૦૧૨માં સત્તામાં આવ્યા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સત્તારૂઢ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની ભૂમિકાને સમાજ, ઉદ્યોગો, સંસ્કૃતિ અને શાળાઓમાં વધારવા માટે જાેર આપ્યું છે. નવા યુગમાં ચીની સંસ્કૃતિ વચ્ચે સમાજવાદ પર શી જિનપિંગના વિચાર પાઠ્યક્રમને ૨૦૧૮માં બંધારણમાં ગર્ભિત કરવામાં આવ્યા હતા.HS