ગુજરાતની પર્ફોમન્સ પોલિટિક્સની શરૂઆતે દેશની રાજનીતિ બદલી નાંખી: રાજનાથ સિંહ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Rajnath.jpg)
કેવડિયા, કેવડિયામાં સરદાર સાહેબના ચરણોમાં ચાલી રહેલી ભાજપની કારોબારીનો આજે બીજાે દિવસ હતો. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ પ્રદેશ ભાજપની કારોબારીમાં હાજર રહ્યા હતાં રક્ષામંત્રી રાજનાથસિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રક્ષામંત્રી રાજનાથસિંહ સહિતના નેતાઓએ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કારોબારીમાં સંબોધન કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની સફળતાનું કારણ એ છે કે ભાજપે સત્તાથી લોકોનું જીવન બદલ્યું છે. પર્ફોર્મન્સ પોલિટિક્સની જે શરૂઆત ગુજરાતે કરી તેણે દેશની રાજનીતિ બદલી છે. આ બદલાવમાં નરેન્દ્ર મોદી (ની ખૂબ મહત્વની ભૂમિકા રહી છે. છેલ્લા ૨૦ વર્ષથી તેઓ પરફોર્મન્સ પોલિટિક્સ અને છેવાડાના માનવીના હિતની ચિંતા કરી રહ્યા છે.
રક્ષામંત્રી રાજનાથસિંહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસે ગાંધી નામનો ખૂબ ઉપયોગ કર્યો. એટલા સુધી કર્યો કે ગાંધી અટક પણ રાખી લીધી. પણ તેમણે ગાંધીજીનું કામ છોડી દીધું. કોંગ્રેસની સરકારોએ દેશનું ભલું કરવાના બદલે પોતાનું ભલું કર્યું છે. કોંગ્રેસે લોકોના લાભને બદલે ભ્રષ્ટાચાર વધાર્યો છે. રક્ષામંત્રી રાજનાથસિંહે કારોબારીમાં મોટું નિવેદન આપ્યું કે, આજે આખાય ભારતમાં આતંકવાદ નથી. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આભારી છે.
ગુજરાતમાં ભાજપાનાં કાર્યકરો સીઆર પાટીલના નેતૃત્વમાં ટેકનોલોજીના ઉપયોગથી વધુ મજબૂત બન્યા છે. વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે. ખરેખર ભાજપ પ્રજાનો વિશ્વાસ જીતવાની જમીન છે. ૨ વર્ષમાં ભારતે ૧૭ હજાર કરોડની નિકાસ કરી છે. થોડા વખતમાં ભારત હથિયારોના ઉત્પાદનમાં પણ સંપૂર્ણ સ્વાવલંબી બનશે. કોંગ્રેસને આયાતી ટેલેન્ટ લાવવા પડે છે, જ્યારે ગુજરાત ભાજપમાં ટેલેન્ટની કમી નથી. કોઈ પણ બાબતનો વિરોધ કરવો એ શબ્દનો પર્યાય છે રાહુલ ગાંધી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કારોબારી બેઠકમાં સી.આર.પાટીલના સ્વાગત પ્રવચન બાદ શોક પ્રસ્તાવ રજૂ કરાયો. ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી માટેનો આભાર પ્રસ્તાવ રજૂ કરાશે. ઉપરાંત રક્ષામંત્રી રાજનાથ સિંહ ડિજિટલ કનેકટ ગુજરાત પ્રોજેક્ટ લોન્ચ કરશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કારોબારી બેઠકમાં રાજકીય પ્રસ્તાવ લાવશે, તેમજ મિશન ૨૦૨૨ અંગેની બાબતો રજૂ કરશે. કાર્યક્રમના અંતિમ સત્રમાં સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી રૂપાણીના સંબોધન બાદ બેઠક પૂર્ણ થઇ હતી.HS