દેણું ચુકવવા પિતરાઈ ભાઈનું ખૂન કરીને લાશને કૂવામાં ફેંકી દીધી

પ્રતિકાત્મક
જસદણના દહીંસરા ગામના યુવાનની તેના પિતરાઈભાઈએ જ હત્યા કરી‘તી
રૂા.૧૦ લાખ જયદીપ ઉર્ફે ટકાને એકના ડબલ કરવાના હેતુથી તાંત્રિકવિધિ કરવા માટે આપ્યા હતા.
જસદણ, જસદણના દહીંસરા ગામના ૩૧ વર્ષના રણજીત ઉર્ફે ભોળો ભુપતભાઈ મંડલીની હત્યા તેના જ ગામના તેના પિતરાઈ ભાઈ જયદિપ ઉર્ફે ટકો અરવિંદભાઈ મંડલીએ કરીને લાશને કૂવામાં ફેકી દીધી હતી. દેણું ચુકવવા માટે જયદીપે ખૂન કર્યાનુૃ ખુલ્યુ હતુ. પોલીસે જયદિપની અટકાયત કરી હતી.
ત્રણેક માસ પહેલાં તા.ર૭-૬ ના રોજ દહીંસરા ગામે રહેતા રણજીત મંડલી નામના યુવાનની લાશ તેની જ વાડીના કૂવામાંથી મળી આવી હતી. પ્રથમ દ્રષ્ટીએ બનાવ આપઘાત કે અકસ્માત મૃત્યુનો હોવાનું જણાયુ હતુ. જે તે સમયે મૃંતકના પરિવાર જનોએ શંકા વ્યક્ત કરી હતી.
રણજીતના મૃંતદેહનું પોસ્ટમોર્ટમ કરનારા તબીબે મૃત્યુ પાણીમાં ડૂબવાથી નહીં પણ માથાની ઈજાના કારણે થયાનો અભિપ્રાય આપ્યો હતો. મૃતકના પરિવારજનોએ બનાવ હત્યાનો હોવાની શંકા વ્યક્ત કરીને એસ.પી.ને રજુઆત કરી હતી. તેના પગલે તપાસ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ વી.એમ. કોલાદરાને સોંપવામાં આવી હતી.
પોલીસની તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે દહીંસરા ગામે જ રહેતા મૃતકના પિતરાઈ ભાઈ જયદીપ ઉર્ફેે ટકો અરવિંદભાઈ મંડલી પર લાખોનું દેણુૃ થઈ ગયુ હતુ.તેમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ નહીં દેખાતા જયદીપે તેના પિતરાઈ ભાઈ રણજીતને શિકાર બનાવવા ની યોજના બનાવી હતી. અને રણજીતને તાંત્રિકવિધિ કરવાથી હું તેને તારા રૂપિયા ડબલ કરી આપીશ. તું કોઈપણ જગ્યાએથી વધુમાં વધુ રૂપિયાની વ્યવસ્થા કરી લે એવી વાત કરી હતી.
આ વાતમાં આવી ગયેલા રણજીતે ગામમાં રહેતા બહાદુર ભાઈ પાસેથી રૂા.૧પ લાખ ઉછીના લીધા હતા. તમાંથી રૂા.સાત લાખ ચુકવીને એસબીઆઈ બેંકમાં ગીરવે મુકેલા ર૩ તોલા વજનના દાગીના છોડાવ્યા હતા. બાદમાં એ દાગીના ઉછીના લીધેલા નાણાં અને
ઘરમાં ઘડેલા નાણાં કુલ રૂા.૧૦ લાખ જયદીપ ઉર્ફે ટકાને એકના ડબલ કરવાના હેતુથી તાંત્રિકવિધિ કરવા માટે આપ્યા હતા. નાણાં ડબલ થવાના દિવસેે જયદીપે તાંત્રિક વિધિના બહાને રણજીતને વાડીએ બોલાવ્યો હતો. તેને દારૂ પીવડાવ્યો હતો. અને નશામાં માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરી્ દીધી હતી. બાદમાં રણજીતની લાશને કૂવામાં ફેંકી દીધી હતી.
આ બનાવ અંગે રાજકોટના માંડાડુંગર પાસે નકળંગ સોસાયટીમાં રહેતા મૃતકના પિતા ભૂપતભાઈ મંડલીની ફરીયાદ પરથી ગુનો નોંધીને જયદીપ ઉર્ફે ટકો અરવિંદભાઈ મંડલીની અટકાયત કરી હતી.