શામળીયાના દર્શન કરી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરતાં કુબેરભાઈ ડીંડોર
યાત્રામાં આદિવાસી નેતાઓ સંસ્થા અગ્રણીઓ પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. યાત્રાને ઠેર-ઠેર આવકાર અને અભિવાદન
(પ્રતિનિધિ) ભિલોડા, ગુજરાત રાજ્યમાં આરંભાયેલી જન આશીર્વાદ યાત્રામાં રાજ્યના મંત્રીઓને ફાળવેલા વિસ્તારમાં લોકોની વચ્ચે જઈ ને સંપર્ક સેતુ રચવા અને લોકોની રજૂઆતો અને મુશ્કેલીઓ સાંભળવા સરળ રીતે હલ કરવા અને લોકોની આશા અપેક્ષાઓ જાણવા સમજવા માટે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી ઓને
રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ત્રિ-દિવસીય યાત્રામાં સામેલ થવાના આદેશ કરાતાં સ્થાનિક ભાજપ સંગઠન કાર્યકર્તાઓ અગ્રણીઓ અને જિલ્લાના મહત્વના સ્થળો અને વિસ્તારોમાં યાત્રા દ્વારા મંત્રીઓ લોકોનું અભિવાદન ઝીલે તેમનો પરીચય કેળવે અને તેમની સમસ્યાઓને સમજવાના પ્રયાસના ભાગરૂપે આજે રાજ્ય કક્ષાના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી કુબેરભાઈ ડીંડોરને ફાળવેલ દાહોદ, મહીસાગર અને અરવલ્લી જિલ્લા પૈકી આજે અરવલ્લી જિલ્લાના ગીરીકંદરામાં આવેલ ભગવાન શ્રી વિષ્ણુ શામળાજી મંદિર ખાતે ભગવાન શામળિયાના દર્શન કરી શીશ નમાવી કાળીયા ઠાકરના આશીર્વાદ મંત્રીએ મેળવ્યા હતા.
મંદિરના ટ્રસ્ટીઓ અગ્રણીઓ દ્વારા તેમનું ભગવાન વિષ્ણુની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે અગ્રણીઓ ભાજપ સંગઠનના હોદ્દેદારો,કાર્યકર્તાઓ પણ મંદિરમાં ભગવાન વિષ્ણુના દર્શન કર્યા હતા. ૧૦ઃ૩૦ કલાકે મંદિરમાં દર્શન કર્યા બાદ મંત્રીશ્રીએ સર્કિટ હાઉસ શામળાજી ખાતે પહોંચ્યા હતા
અને ૧૨ઃ૦૦ વાગ્યે મહુડિયા ડેરા તાલુકો ભિલોડા ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું. તાલુકાના પદાધિકારીઓ સંગઠનના લોકો, અને અગ્રણીઓ દ્વારા અભિવાદન ઝીલ્યું હતું. ભિલોડા પાસે આવેલ જુના ભવનાથ મંદિરે દર્શન પૂજા અર્ચના કરી બપોરે એ.પી.એમ.સી ભિલોડા ખાતે પુનઃ અભિવાદન ઝીલ્યું હતું.
યાત્રા દરમિયાન તેમને ઠેરઠેર આવકાર અને નવનિયુક્ત મંત્રી બનવા બદલ સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી.આદિવાસીઓ દ્વારા પરંપરાગત વેશભૂષામાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો.પ્રથમ મુલાકાતથી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી મંત્રી ડીંડોર બપોર બાદ ફરી શામળાજી સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા
અને સાંજે ૪ઃ૦૦ કલાકે ભિલોડા તાલુકાના ખિલોડા ખાતે આવી પહોંચતા શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ, સંગઠનના કાર્યકર્તાઓ, સરપંચો અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા ખેસ પહેરાવી પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત સન્માન કરીને આનંદ વ્યક્ત કર્યો હતો.
ખિલોડા ખાતે જાહેર સભાને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ એક નવી ઊંચાઈ પર પહોંચ્યો અને એમણે આપેલું સૂત્ર સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ આપણે સૌ સાર્થક કરીએ.*