દક્ષિણ એશિયાના લોકો માટે કોરોના વાયરસ વધુ ઘાતક: નવા સંશોધનમાં ખુલાસો
નવી દિલ્હી, કોરોના વાયરસના સંક્રમણ હજુ દુનિયાને હંફાવી રહ્યો છે, ત્યાં એક અભ્યાસમાં નવો જ ખુલાસો થયો છે. એક નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે દક્ષિણ એશિયાના લોકોમાં એક જનીન છે જે ફેફસા ખરાબ થવા અને કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિમાં ખતરો નોંધપાત્ર રીતે વધારે છે. આ જીનના કારણે દક્ષિણ એશિયાના લોકોમાં કોરોના સંક્રમણથી મૃત્યુદર વધે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા આ સંશોધનમાં દક્ષિણ એશિયાના લોકોને કોવિડ-19થી વધુ સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે, LZTFL-1 જનીન વાયરલ ઇન્ફેક્શન થતાં ફેફસાંની જવાબી ક્ષમતામાં બદલી નાખે છે. સંશોધકોનું કહેવું છે કે અત્યાર સુધી કરવામાં આવેલા સંશોધનમાં આ સૌથી મહત્વપૂર્ણ જિનેટિક રિસ્ક ફેક્ટર છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે LZTFL-1 જનીન દક્ષિણ એશિયાના 60 ટકા લોકોમાં જોવા મળે છે. જ્યારે યુરોપિયન દેશોમાં તે ફક્ત 15 ટકા લોકોમાં જોવા મળે છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ જનીન મુખ્ય રક્ષણાત્મક તંત્રને અવરોધે છે. આને લીધે ફેફસાં તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે કામ કરી શકતા નથી. જેના પરિણામે આપણા કોષો નબળા પડી જાય છે અને કોરોના વાયરસ સરળતાથી આપણા શરીર પર હુમલો કરે છે.