કલમ ૩૭૦ ૭૫ વર્ષથી લાગુ હતી, તો પછી શાંતિ કેમ ન હતી ?: અમિત શાહ

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાના કલમ ૩૭૦ પરના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, કાશ્મીરમાં છેલ્લા ૭૫ વર્ષથી કલમ ૩૭૦ લાગુ છે, તો પછી શા માટે શાંતિ નથી? જાે શાંતિ અને કલમ ૩૭૦ વચ્ચે કોઈ સંબંધ હોય તો શું કલમ ૩૭૦ ૧૯૯૦માં લાગુ ન હતી?
ગૃહમંત્રીએ કહ્યું કે અમારી સામે એવી વાતો ચાલી રહી હતી કે લાંબા સમયથી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને ઇન્ટરનેટ બંધ હતું. પરંતુ હું જમ્મુ-કાશ્મીર ગયો અને ત્યાંના યુવાનોને પૂછ્યું કે જાે અમે કર્ફ્યુ ખોલ્યો હોત તો કોણ મરી ગયું હોત? જવાબ મળ્યો, અમે મરતા, એટલે કે, અમે યુવાન મરીએ છીએ. યુવાનોએ મને કહ્યું કે સરકારે કર્ફ્યુ લગાવીને અમને બચાવ્યા છે.
એક કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહમંત્રીએ કહ્યું કે, અત્યારે જમ્મુ-કાશ્મીરમાં જે પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે, જે પ્રકારનો કાયદો અને વ્યવસ્થા હવે ત્યાં સર્જાઈ છે, તેના કારણે ત્યાં પર્યટન પણ વધ્યું છે. જમ્મુ અને કાશ્મીર આજે જન કલ્યાણકારી યોજનાઓનો લાભ ત્યાંના લોકો સુધી પહોંચાડવામાં સારું પ્રદર્શન કરી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે ૩૭૦ નાબૂદ થયા પછી કહેવામાં આવ્યું હતું કે અંબાણી, ટાટા અને અદાણી રોકાણ લાવશે, જેનાથી રોજગારની તકો ઊભી થશે, પરંતુ એવું કંઈ થયું નહીં. પ્રોજેકટથી પણ સ્થાનિક લોકોને રોજગારી મળી રહી નથી.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેમના શાસનદરમિયાન જે વિસ્તારોમાંથી આતંકવાદનો સફાયો થયો હતો ત્યાં ફરી આતંકવાદ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે આ આતંકવાદીઓ બહારથી આવ્યા નથી, પરંતુ કાશ્મીરના યુવાનો, જેઓ ગુસ્સા અને અન્ય કારણોસર હથિયાર ઉઠાવે છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપની કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ફરીથી સ્થિતિ બગાડી છે. ઓમર અબ્દુલ્લાએ ત્યાં સુધી કહ્યું કે જાે કોંગ્રેસ તૈયાર નહીં થાય તો નેશનલ કોન્ફરન્સ કલમ ૩૭૦ની પુનઃસ્થાપના માટે પોતે જ લડશે.HS