ચૂંટણી વાળા રાજ્યોમાં સરકાર રસીકરણ અભિયાનને તેજ બનાવે: ચૂંટણી પંચ
નવીદિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, પરંતુ ઓમિક્રોનના કારણે ચૂંટણીનું ટેન્સન વધી રહ્યું છે. આ કારણોસર પંચે કેન્દ્ર સરકારને તે રાજ્યોમાં રસીકરણ ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે, જ્યાં થોડા મહિનાઓ પછી ચૂંટણી યોજાવા જઈ રહી છે.
કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચૂંટણી પંચ પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીને આગળ ધપાવી શકે છે, પરંતુ ચૂંટણી પંચના સૂત્રોએ આ વાતને નકારી કાઢી છે.
બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે એક બેઠકમાં ચૂંટણી પંચને દરેક મતદાન વાળા રાજ્યમાં રસીકરણ દર વિશે માહિતી આપી હતી. તેમના મતે, ઉત્તરાખંડ અને ગોવામાં ૧૦૦ ટકા વસ્તીને પ્રથમ ડોઝ મળ્યો છે, જ્યારે યુપીમાં આ આંકડો ૮૫ ટકા, મણિપુર અને પંજાબમાં ૮૦ ટકા છે. આના પર ચૂંટણી પંચે આરોગ્ય મંત્રાલયને તે રાજ્યોમાં રસીકરણ પ્રક્રિયાને ઝડપી બનાવવા કહ્યું છે, જેથી કરીને સમગ્ર વસ્તીને વહેલામાં વહેલી તકે રસીકરણ કરી શકાય.
આરોગ્ય મંત્રાલય ઉપરાંત ચૂંટણી પંચના અધિકારીઓએ ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને સશસ્ત્ર સીમા બલના ટોચના અધિકારીઓને પણ મળ્યા હતા. આ સાથે ચૂંટણી રાજ્યોને આંતરરાષ્ટ્રીય સરહદો પર કડક નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
બીજી તરફ એનસીબી અધિકારીઓને ચૂંટણી વાળા રાજ્યો, ખાસ કરીને ગોવા અને પંજાબમાં ડ્રગ સ્મગલરો પર કાર્યવાહી કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પહેલા ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટમાં જસ્ટિસ શેખર યાદવની બેન્ચે સરકાર અને ચૂંટણી પંચને વિધાનસભા ચૂંટણીને એક કે બે મહિના સુધી સ્થગિત કરવા વિનંતી કરી હતી. આ સિવાય કોર્ટ રાજકીય રેલીઓ પર પણ પ્રતિબંધ લગાવવા પર વિચાર કરવા માંગે છે.HS