Western Times News

Gujarati News

દશેરા પર્વ નિમિત્તે લોકો ફાફડા અને જલેબીની મજા માણી

  

અમદાવાદ : અમદાવાદમાં દશેરા નિમિત્તે જલેબી અને ફાફડાની જ્યાફત માણવાની વર્ષો જૂની પરંપરા છે. પરંતુ આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. અમદાવાદમાં અત્યારે કિંમતની દૃષ્ટિએ જોઈએ તો ફાફડા અને ચોખ્ખા ઘીની જલેબીના ભાવ કાજુ-બદામ જેવા ડ્રાયફ્રુટ કરતા પણ વધુ છે.

આમ છતાં એક અંદાજ મુજબ દશેરાએ અમદાવાદમાં સરેરાશ દસ લાખ કિલો જેટલાં ફાફડાં-જલેબી એક જ દિવસમાં ઝાપટી જશે તેવો અંદાજ છે. આવતીકાલે દશેરાને લઇ અમદાવાદીઓ ખાસ કરીને ખાવાના શોખીન અને સ્વાદના રસિયાઓ ગરમાગરમ ફાફડા અને જલેબીની જયાફત ઉડાવવા માટે તત્પર બન્યા છે. ફાફડા-જલેબીની સાથે સાથે ચોળાફળી, સમોસા-કચોરી અને અન્ય ફરસાણની પણ જયાફત તેમ જ મિજબાની નાગરિકો માણશે.

દશેરાના તહેવારની ઉજવણી ફાફડા-જલેબીની જયાફત વિના અધૂરી મનાય છે અને તેથી આ વર્ષે પણ ફાફડા જલેબીના ભાવો આસમાને પહોંચ્યા હોવાછતાં અમદાવાદીઓ ફાફડા જલેબીની લુત્ફ ઉઠાવવા આતુર બન્યા છે. નવરાત્રિમાં આઠમના દિવસથી જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફાફડા-જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવી દેવામાં આવ્યા છે.

અમદાવાદમાં નાના-મોટા મળીને આશરે ૧૦ હજારથી વધુ ફાફડા-જલેબીના કાઉન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. ફાફડા અને જલેબી સામે ફ્રુટ અને ડ્રાયફ્રુટના ભાવની સરખામણી કરીએ તો, ફાફડાના કિલોના ભાવ રૂ.૪૦૦થી ૮૬૦ સુધીનો છે, જ્યારે જલેબીના કિલોના ભાવ રૂ.૫૦૦થી ૧૨૦૦નો છે.

તેમની સામે ફ્રુટ્‌સમાં દાડમના કિલોના ભાવ રૂ.૧૬૦-૨૦૦, સફરજન રૂ.૧૨૦-૨૦૦, મોસંબી-રૂ.૧૦૦, ચીકુ રૂ.૬૦-૧૦૦, પપૈયા રૂ. ૯૦ સુધીના ભાવે વેચાઇ રહ્યા છે. જ્યારે ડ્રાયફ્રુટસમાં કાજુ રૂ.૯૬૦-૧૦૮૦, બદામ રૂ.૭૬૦-૧૦૪૦, કિશમિશ- રૂ.૪૮૦-૯૬૦, અખરોટ રૂ. ૮૦૦-૧૨૦૦, જરદાલુ રૂ. ૯૬૦-૧૨૦૦, પીસ્તા ખારા રૂ. ૧૦૮૦-૧૨૦૦ અને અંજીર રૂ.૧૨૦૦ના ભાવે છે. આટલા મોંઘા ફાફડા બનાવવા માટે વપરાતું બેસન વેપારીઓને માત્ર રૂ. ૭૫થી ૮૦ કિલોએ મળે છે.
પરંતુ તેમાંથી ફાફડા તૈયાર કર્યા બાદ વેપારીઓ એટલો બધો નફો ચડાવે છે કે ફાફડા ખરીદવા મોંઘા પડી જાય છે. ફાફડાનો આટલો ભાવ લઈને ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે.

વેપારીઓ ફાફડા-જલેબીના આટલા ભાવવધારા પાછળ બેસન, તેલ સહિતના ભાવવધારા, જીએસટી અને લેબર(કારીગરની મજૂરી)ને કારણ ગણાવી રહ્યા છે. જા કે, વેપારીઓનો આ બચાવ ગળે ઉતરે તેવો નથી કારણ કે, બધા કારણો મળીને પણ ફાફડા જલેબીનો ભાવ આટલો વધે નહી પરંતુ તહેવાર અને લોકોની માંગનો ભરપૂર ફાયદો ઉઠાવી વેપારીઓને આ એક જ દિવસમાં રૂપિયાનો ભારે તડાકો પડી જાય છે.

આવતીકાલે શાસ્ત્રો પૂજા પણ કરવામાં આવે છે. દશેરાના તહેવાર નિમિત્તે શહેરીજનો નવા વાહનોની ખરીદી પણ કરે છે, જેથી કાર અને વાહન ડિલરો દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. દશેરાના દિવસે દિવસ દરમિયાન વાહનોની ડિલીવરી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.