અમદાવાદ જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનોને 137 કરોડથી વધુની સહાય ચૂકવાઇ

રાજ્યની નિરાશ્રિત બહેનો માટે વરદાનરૂપ સાબિત થતી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના
98 હજારથી વધુ ગંગા સ્વરૂપા મહિલાઓને ફેબ્રુઆરી માસમાં રૂ. 25 કરોડથી વધુની સહાય
અમદાવાદ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી શૈલેષભાઇ અંબારિયાના જણાવ્યા અનુસાર, અમદાવાદ જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનોને છેલ્લાં એક વર્ષમાં માર્ચ– 2021 થી ફેબ્રુઆરી 2022 સુધીમાં રૂ. 137 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
અધિકારીશ્રીએ આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે,અમદાવાદ જિલ્લામાં કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ મોટા પ્રમાણમાં ગંગા સ્વરૂપા આર્થિક યોજનાનો લાભ ગંગા સ્વરૂપા બહેનોને આપવામા આવી રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં 98, 800 ગંગા સ્વરૂપ મહિલાઓને ફેબ્રુઆરી – 2022 માસમાં એરિયર્સ સાથે ડી.બી.ટી.ના માધ્યમથી રૂપિયા 25.73 કરોડથી વધુની સહાય પણ ચૂકવી દેવામાં આવી છે. આમ નિરાશ્રિત બહેનો માટે આ યોજના એક વરદાનરૂપ સાબિત થઇ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,અમદાવાદ જિલ્લામાં માર્ચ 2021માં લાભાર્થીઓની સંખ્યા65,285 હતી, જે વધીને ફેબ્ર્આરી – 2022 સુધીમાં 98,800 પહોંચી ગઇ છે. આ યોજનાનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે અમદાવાદ જિલ્લાની ટીમ દ્વારા સધન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આમ, રાજ્ય સરકારની અનેક મહિલાલક્ષી પહેલોના કારણે જ આજે રાજ્યની મહિલાઓ સ્વમાનભેર ઉન્ન મસ્તકે જીવન જીવી રહી છે.
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે મહિલા અને બાળકોના કલ્યાણ, સશક્તિકરણ તેમજસર્વાંગીણ વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, તેમાની જ એક યોજના એટલે ગંગા સ્વરૂપા આર્થિક યોજના. આ યોજના અંતર્ગત રાજ્યની મહિલાઓને આર્થિક રીતે પગભર બની સ્વમાનભેર પોતાનું જીવન વ્યતિત કરી શકે તે માટે દર મહિને રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપા બહેનોને રૂપિયા 1,250ની સહાય આપવામાં આવે છે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઅર્ચનાબેન ભટ્ટના જણાવ્યા અનુસાર ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના નિરાશ્રિત બહેનોને આર્થિક સહાય દ્વારા સન્માન પૂર્વક જીવવાનો અધિકાર આપે છે. આ યોજના અમારા જેવા નિરાશ્રિત બહેનો માટે એક વરદાનરૂપ સાબિત થઇ રહી છે.
આ યોજના અંતર્ગત અગાઉ 21 વર્ષની ઉંમરનો પુત્ર થાય પછી સહાય બંધ કરવાની જોગવાઇને રદ કરવામાં આવી છે, જેના માટે અમે ખરેખર આજીવન રાજ્ય સરકારના આભારી રહીશું. એટલું જ નહીં, આ યોજનામા ગંગા સ્વરૂપા બહેનોને માસિક રૂ.1250 વિધવા પેન્શન રૂપે બેંક કે પોસ્ટ ખાતામા ડી.બી.ટી (ડાયરેક્ટ બેનીફિટ ટ્રાંસફર) મારફતે સીધા જમાં થવાથી અમને ઘણી સરળતા થઇ છે.